Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

સુરતમાં વધુ એક વિસ્તાર રેડ ઝોન જાહેર : 32 હજાર લોકોને કરાયા ક્વૉરન્ટાઇન

લિંબાયતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 26 નવા દર્દી પૈકી મોટા ભાગના કેસ ઝૂંપડપટ્ટી વિસ્તારના છે

સુરત : શહેરમાં આવેલા લિંબાયતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 26 નવા દર્દી પૈકી મોટા ભાગના કેસ ઝૂંપડપટ્ટી વિસ્તારના છે. જેને લઇને સુરતની મહાનગર પાલિકા દ્વારા લિંબાયત ઝોનમાં આજે વધુ એક રેડ ઝોન જાહેર કરી 32 હજાર લોકોને ફરજિયાત હોમ ક્વૉરન્ટાઇનમાં મૂકયા છે. શહેરના નવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનની મ્યુ. કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવશે.

 


કોરોના વાઇરસને લઇને તંત્ર દ્વારા લૉકડાઉન આપવામાં આવ્યું હતું. જોકે, સુરતનાં 5 જેટલા વિસ્તારમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કર્ફ્યૂ પણ મુકવામાં આવ્યો હતો. ત્યારે હજુ પણ સતત કોરોના પોઝિટિવ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે .ત્યારે સુરતનાં લિંબાયત ઝોન વિસ્તારમાં ગતરોજ નવા 26 કેસ મળી આવ્યા હતા. લિંબાયતના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા આજે નવો એક હોટસ્પોટ તરીકે સુરતનાં લિંબાયત વિસ્તારને તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરીને 7169 ઘરમાં રહેતા 32 હજાર લોકોને કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

લિંબાયત ઝોન વિસ્તારમાં ભાવનાનગર, મારુતિનગર, રૂસ્તમપાર્ક, મધુનગર, મંગલાપાર્ક, મહાપ્રભુનગર, પદમાવતી સોસાયટી, શિવાજી નગર, સુભાષનગર, અંબિકા સોસાયટી, મદનપુરા, શાહપુરા, ખાનપુરા, રામનગર, ઇદગાહ રોડ, શાસ્ત્રી ચોક, મદીના મસ્જિદ, બુદ્ધ સોસાયટી, મયુર સિનેમા, સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, છત્રપતિ શિવાજીનગર, રાજીવનગર, સત્યમ કોમ્પ્લેકસ, જલારામનગર, સંભાજી ચોક, સાઇનાથનગર, વિનોબાનગર, સાઇબાબાનગર, રૂપનગર, રતનચોક, ઉધના રેલવે યાર્ડ ઝૂંપડપટ્ટી તથા જવાહરનગર વિસ્તારને કલસ્ટર જાહેર કરવામાં આવ્યાં છે. આજે જે પોઝિટિવ કેસ મળ્યા છે તે પૈકી ઝૂંપડપટ્ટી વિસ્તારના કેસોની સંખ્યા વધારે છે. ખાસ કરીને લિંબાયત અને વરાછા ઝોન વિભાગએ વિસ્તારમાં આવેલી વસાહતોમાંથી નવા કેસો મળતા સરવેની કામગીરી વધારવામાં આવી છે.

આ સિવાયના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. સ્લમ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી કિલનિકને કારણે નવા કેસો મળી રહ્યા છે. આવી કિલનિકમાં ખાંસી, શરદી અને તાવના કેસો મળી આવ્યા છે. પાલિકાએ કોરોનાના પોઝિટિવ દર્દીઓના આધારે શહેરને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કર્યું છે. હાલની સ્થિતિમાં કયા વિસ્તારો કયા ઝોનમાં રાખવા તે અંગે ગતરોજ તમામ બાબતો નક્કી કરી આજે તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે. કયા ઝોનમાં કયા પ્રકરની કામ ગીરી સાથે ક્યા પગલા લેવાના છે તે રણનીતિ આજે નક્કી કરવામા આવશે. જોકે એક બાજુ રમઝાન શરૂ થયો છે ત્યારે લિંબાયતના સ્લ્મ વિસ્તારમાં લોકો ખરીદી કરવા મોટા પ્રમાણ બહાર નીકળતા હોવાના અનેક વીડિયો વાઇરલ થયા છે.

(12:13 pm IST)