Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

વિરમગામ શહેરમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાના ભાગરૂપે ફોગર મશીન દ્વારા સેનીટાઇઝેશન કરાયુ

અમદાવાદ જીલ્લા પંચાયત મેલેરીયા શાખા, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નગરપાલીકા, પોલીસ સહિતના વહીવટી તંત્ર સેનીટાઇઝેશન કામાગીરીમાં જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લની કોરોના વાયરસની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાના વિવિધ ગામમાં કોવિડ-૧૯ અટકાયતી પગલાના ભાગરૂપે સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બુધવારે વિરમગામ શહેરમાં સેનીટાઇઝેશન કામાગીરી કરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લા પંચાયત મેલેરીયા શાખા, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, નગરપાલીકા, પોલીસ સહિતના વહીવટી તંત્ર સેનીટાઇઝેશન કામાગીરીમાં જોડાયા હતા. વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર  ઇન્સીડન્ટ કમાન્ડર અને વિરમગામ પ્રાન્ત સુરભી ગૌતમ, અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણા, જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ ૩ વાહનમાંથી ફોગર મશીન દ્વારા સેનીટાઇઝેશન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને નોવેલ કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.

    અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. અમદાવાદ જીલ્લા પંચાયત મેલેરીયા શાખા દ્વારા વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં સેનીટાઇઝેશન કામાગીરી હાથ ધરવામાં આવી છે.

(11:52 pm IST)