Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

૨૨ વર્ષથી હક્ક માટે લડાઇ લડી રહેલા અમદાવાદના મહિલા પ્રોફેસર રંજના અવસ્થીએ હવે ન્યાય મળવાની આશા છોડી દીધીઃ રાહુલ ગાંધીએ પણ ખાતરી આપી હતી

અમદાવાદઃ ૨૨ વર્ષની ન્યાય મળે તે માટે અમદાવાદની રાષ્‍ટ્રભાષા કોલેજમાં સંસ્‍કૃતના પાર્ટટાઇમ પ્રોફેસર રહી ચૂકેલા રંજના અવસ્‍થીએ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા તેમણે હવે ન્યાય મળવાની આશા છોડી દીધી છે.

અમદાવાદની રાષ્ટ્રભાષા કોલેજમાં સંસ્કૃતના પાર્ટ-ટાઈમ પ્રોફેસર રહી ચૂકેલા રંજના અવસ્થી વિધાનસભા ચૂંટણી વખતે નિકોલ વિસ્તારમાં પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીને ભેટી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડ્યાં હતાં. રાહુલ ગાંધીએ તેમને પોતાનાથી બનતી મદદ કરવાની પણ ખાતરી આપી હતી, જોકે આજ દિન સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

રાહુલને મળી ચર્ચામાં આવેલા રંજના અવસ્થી વિશે તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતરી આપી હતી કે, ફિક્સ પે સ્કીમ હેઠળ તમામ પ્રોફેસરોની લાયકાત ધ્યાનમાં લઈ ભરતી કરાશે. જોકે, રંજના અવસ્થી 22 વર્ષ સુધી હંગામી પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. અને હવે જો 52 વર્ષની ઉંમરે તેઓ ફિક્સ પગારમાં નવેસરથી નોકરી શરુ કરશે તો તેમને પેન્શન સહિતના એકેય સરકારી લાભ નહીં મળે.

નવેસરથી નોકરી શરુ કરવા પર તેમને દર મહિને ફિક્સ 40,000 રુપિયા પગાર મળશે. સરકાર તેમના જેવા 122 પીએચડી ડીગ્રી ધારક પાર્ટટાઈમ પ્રોફેસરની ભરતી કરવાની છે. જેમાંથી 73ને ઓર્ડર મળી ચૂક્યા છે, પરંતુ તેમના સહિત 48 લોકોને હજુય પોસ્ટિંગ પણ નથી મળ્યું.

રંજના અવસ્થીનું કહેવું છે કે, ચૂંટણી પહેલા વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. જોકે, ચૂંટણી પછી તેમને ફરી બોલાવાયા, અને કહેવાયું હતું કે તેમને પોતાની માર્કશિટ વેરિફાય કરાવવી પડશે. પહેલા રાઉન્ડમાં આ વાત કેમ ન કરાઈ તે સવાલ ઉઠાવતા તેઓ જણાવે છે કે, તેમને માર્કશિટ વેરિફિકેશન માટે કાનપુર યુનિ.નો સંપર્ક કરવો પડે.

ચૂંટણી વખતે રાહુલ સાથે મુલાકાત બાદ રંજના અવસ્થીએ કહ્યું હતું કે,, ‘હું અમારી મુશ્કેલી માટે મુખ્યમંત્રી વિજય રુપાણીથી લઇને ડે. સીએમ નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહને પણ મળી છું પરંતુ તે લોકોએ ફક્તને ફક્ત રાહ જોવડાવ્યા સિવાય કશું કર્યું નથી. હું થાકી અને હારી ગઈ હતી પરંતુ જ્યારે રાહુલ ગાંધીને મળી તો મારાથી રહી શકાયું નહીં અને હું એકદમ રડી પડી. હું તેમને પહેલીવાર જ મળી હતી પરંતુ મને લાગ્યું કે હું જાણે તેમને વર્ષોથી ઓળખતી હોઉં. તેઓ મારા નાના ભાઈ જેવા લાગ્યા હતા.

રંજના અવસ્થી 1994માં એમ.બી. પટેલ રાષ્ટ્રભાષા કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે જોડાયાં હતાં. જોકે, એ સમયે કોઈ ફૂલ ટાઇમ વેકન્સી ન હોવાથી પાર્ટટાઇમ પ્રોફેસર તરીકે તેમને નિમણૂંક અપાઈ હતી. જેના 10 વર્ષ બાદ સરકારે જાહેરાત કરી કે રાજ્યના તમામ પાર્ટટાઇમ કર્મચારીઓને ફૂલ ટાઇમ કરવામાં આવશે. જોકે આવું કંઈ જ થયું નહીં પરંતુ તેમને આશા હતી કે પેન્શન જેવા લાભ તો તેમને મળશે જ. પરંતુ સરકારે તેમને ફિક્સ પે કેટેગરીમાં સમાવવા કાર્યવાહી કરતા તેમની પાસે 22 વર્ષની નોકરી બાદ પણ કંઈ જ નથી.

22 વર્ષ સ્ટૂડન્ટ્સને ભણાવી ચૂકેલા રંજના અવસ્થી પાસે ફૂલ ટાઇમ પ્રોફેસર બનવા માટે તમામ ક્વોલિફિકેશન છે. તેઓ ત્રણ જગ્યાએ ગાઇડ છે, તેમની અત્યાર સુધીમાં 10 બુક્સ છપાઈ છે. તેમણે અનેક આર્ટિકલ્સ પણ લખ્યા છે અને 15 જેટલા સેમિનારમાં ભાગ પણ લીધો છે.

(6:53 pm IST)