Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

રિવરફ્રન્ટ પર ડો. વિક્રમ સારાભાઈના સ્ટેચ્યુમાં હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલની ચોરી

સાબરમતી રિવરફ્રન્ટના સિક્યુરિટી સુપવાઈઝરે પોલીસ ફરિયાદ કરી : સીસીટીવી ફુટેજના આધારે ચોરની શોધખોળ

અમદાવાદ : ઉસ્માન પુરા ત્રણ રસ્તા પાસે આવેલા ડો. વિક્રમ સારાભાઈના હાથમાં રાખેલું પુસ્તક, પેન અને ટેબલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો છે,આ અંગે સાબરમતી રિવરફ્રન્ટના સિક્યુરિટી સુપવાઈઝરે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.

 

પશ્ચિમ તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર ઉસ્માનપુરા ત્રણ રસ્તા પાસે ડો.વિક્રમ સારાભાઈનું સ્ટેચ્યુ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા મુકવામાં આવ્યું હતું. 26 ઓક્ટોમ્બરના રોજ રાતે 1 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર પ્રેમસિંઘ ચૌહાણ સિક્યુરિટી ગાર્ડનું ચેકિંગ કરી ઘરે ગયા હતા. આ સમયે સ્ટેચ્યુના હાથમાં રહેલું પુસ્તક, પેન અને ટેબલ હતું.

 

બીજા દિવસે સવારે 11 વાગ્યે ત્યાંથી નીકળ્યા ત્યારે આગળ મૂકેલું ટેબલ, પેન અને પુસ્તક ગાયબ હતું. જેથી આ મામલે રિવરફ્રન્ટના અધિકારીને જાણ કરી હતી. બાદમાં પ્રેમસિંઘ ચૌહાણે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી તેના બિલ લઈને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

(9:32 am IST)