Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ગુજરાતમાં નવું વર્ષ લોહીયાળ બન્યુઃ ૭ જુદા-જુદા અકસ્માતોમાં ૭ના મોત

અમદાવાદ : આજથી વિક્રમ સંવત 2076ની શરૂઆત થઇ છે. દિવાળી અને બેસતા વર્ષનાં શુભ પ્રસંગે લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. જો કે કેટલીક અકસ્માતોની ઘટનાને બાદ કરતા તહેવાર શાંતિપુર્ણ રહ્યો હતો. યાત્રાધામ દ્વારકા નજીક એક પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર ગોરિંજા ગામ પાસે એક ગાડી પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા દર્શન કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો.

બનાસકાંઠા માં પણ અંબાજી નજીક અકસ્માત થયો હતો. અંબાજી નજીક અલ્ટો કાર ચૌહાણ નાળામાં ખાબકી હતી. ગબ્બર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં રસ્તા વચ્ચે અચાનક છોકરાઓ આવી જતા દુર્ઘટના સર્જાઇ હતી. છોકરાઓને બચાવવા જતા અલ્ટો કાર નાળામાં ખાબકી હતી. કારમાં બેઠેલા પાંચેય મુસાફરો ઘાયલ થયા હતા. ગબ્બરથી અંબાજી જવાનાં માર્ગ પર અકસ્માત થયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના ઉપલેટા ગામ નજીક પણ અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક દામજીભઆઇ કોળીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધોરાજીથી પોરબંદરના રાણાવાવ સંબંધિના ઘરે જઇ રહેલા દંપત્તીને ગણોદ નજીક અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માતમાં દામજીભાઇના પત્ની અનુસાર જોકુ આવી જતા બાઇક રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ અને પટકાઇ હતી. મૃતકે હેલમેટ પણ પહેર્યું હતું. જો કે તે પટકાતા પહેલા જ ફંગાળાઇ ગયું હતું.

ભાવનગર જીલ્લાનાં ગારીયાધાર રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. ગારીયાધાર નાની વાવડી રોડ પર માર્ગ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે બાઇક વચ્ચે જ આ અકસ્માત બન્યો હતો જેમાં દુર્ગેશ મધુભાઇ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બેને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા.

સાબરકાંઠાના પ્રાતિજના કામલપુર નજીક ગાડીમાં આગ લાગી ગઇ હતી. જો કે સદનસીબે સમગ્ર પરિવાર હોટલમાં જમવા માટે નીચે ઉતર્યો હતો અને આગ લાગતા કોઇ જાનહાની થઇ નહોતી. હોટલ આગળ ઉભી રહેલી ગાડીના બોનેટ પર અચાનક આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ અચાનક ભડકા સાથે આખી કાર અગનગોળો બની ગઇ હતી. કારચાલક પરિવારની નજર સામે જ આખી કાર ભડભડ સળગી ગઇ હતી.

દાહોદના ધાનપુરના પીપેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મુસાફો લઇને અવરજવર કરતી ખાનગી જીપે પલ્ટી મારી હતી. જીલ પલ્ટી મારી જતા 15 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. જો કે 4 લોકો ગંભીર ઇજાઓ થતા જિલ્લા મથકે ખસેડવામાં આવ્યા છે.

નડીયાદ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 25થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાહ તા. લક્ઝરી બસ સુરતથી ચોટીલા જઇ રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને નડિયાદ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

(12:04 pm IST)