Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભાજપે સરદાર પટેલના નામ પર માર્કેટિંગ કર્યું : શંકરસિંહ

વાઘેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને વિરોધમાં : સરદારના સંસ્કારો અને વિચારોની વાત કરનારા ભાજપે એરપોર્ટ નામકરણ વખતે સરદારના નામનો વિરોધ કર્યો

અમદાવાદ, તા.૨૯ : આગામી ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભાઇ પટેલનું સ્મારક સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયાની નજરો ગુજરાત પર હશે. એકબાજુ, વિપક્ષ અને આદવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે અને ભાજપ તેમ જ મોદી સરકાર દ્વારા તેની પ્રસિધ્ધિ અને અંગત સ્વાર્થના તાયફા માટે થઇ રહેલા કરોડો રૂપિયાના ખર્ચ અને સરકારની સ્વાર્થી માનસિકતાને લઇ પ્રહાર અને વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે એક જમાનામાં ભાજપની છાવણીના કદાવર નેતા અને કોંગ્રેસમાંથી છેડો ફાડનારા પીઢ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલાએ પણ તેમાં વિરોધના સૂર પૂરાવ્યા છે અને ભાજપ સરકાર સામે જોરદાર સવાલો ઉઠાવી પ્રહારો કર્યા છે. બાપુએ જણાવ્યું કે, મારે તેમને પૂછવું છે કે, મારે એમને પુછવુ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અર્થ શું છે. ભાજપ સરદારની પ્રતિમા બનાવી શું સાબિત કરવા માંગે છે. પહેલા સરકાર દેશી રાજવી અને રજવાડાઓનું સન્માન કરે. ભાવનગરના પહેલા રાજવીએ પોતાનું રજવાડું આપ્યું હતું તે રાજવીનું સન્માન કરવું જોઇએ, પરંતુ હાલ એવું કશું દેખાતું જ નથી. માત્ર વિકાસ અને સરદારના નામે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. શંકરસિંહ બાપુએ વધુમાં ઉમેર્યું કે, ભાજપ હાલ સરદારના નામે જે રીતે મોટ-મોટેથી તેમના ગુનગાન ગાઇ રહ્યું છે, તે બધુ બોગસ છે. અગાઉ ભાજપ પોતાના ભૂતકાળમાં જઇને જોવે કે જે સરદારના સંસ્કારો અને વિચારોની વાત હાલ કરી રહ્યું છે તે અમદાવાદ એરપોર્ટના નામકરણ વખતે સરદાર સાહેબનો કેટલો વિરોધ કર્યો હતો, તે વિચારે.. ભાજપની મહિલા કાર્યકરોએ અમદાવાદ એરપોર્ટના નામકરણમાં સરદારનો મોટો વિરોધ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જ્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવામાં આવ્યું હતું ત્યારે ભાજપે જ વિરોધ કર્યો હતો, મોદીજી તમે કોને મુર્ખ બનાવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મેડ ઇન ચાઇના છે, તમે આ સ્ટેચ્યુથી કોને ખુશ કરવા માગો છો. સરદાર સાહેબને આજે પણ અન્યાય થઇ રહ્યો છે. ભાજપે સરદારની વિશાળ પ્રતિમા બનાવીને રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને ઠંડું પાડવા માંગે છે. પરંતુ મારે તેમને એક સવાલ છે કે તમે સરદારનો ઉપયોગ કરી શું પાટીદાર સમાજને ખુશ કરવા માગો છો? પહેલા આવા નાટક કર્યા વગર પાટીદાર સમાજના જે છોકરા જેલમાં બંધ છે એમને મુક્ત કરો.. સરદાર કેમ ગમે છે? પાટીદાર સમાજ નારાજ છે એટલે? પરંતુ આ સમાજ બધું સમજી ગયો છે. સરદાર સાહેબે ક્યારેય દેશના વડાપ્રધાન બનવાનું કહ્યું નહોતું. માત્ર જુઠ્ઠાણા ફેલાવીને સરકાર લોકોની વોટબેંક મેળવવા માંગે છે.

(8:25 pm IST)