Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને કેન્‍દ્ર સરકાર દ્વારા રાહત આપવા અમદાવાદમાં સોના-ચાંદીના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ-કારીગરોની ચિંતન બેઠકમાં માંગણી

અમદાવાદ: મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે તે પ્રકારે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોએ પણ સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી માગ કરી છે. સંદર્ભે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોના હિત માટે અમદાવાદના લાલદરવાજા ખાતે ચિંતન બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં જુદા જુદા સમાજના વેપારીઓ જેવા કે સમસ્ત બંગાળી સમાજ એસોસીએશન, શ્રીમાળી સોની સમાજ કારીગર વર્ગ, પરજીયા સોની સમાજ કારીગર વર્ગ, મરાઠી સોની સમાજ કારીગર વર્ગ અને મારવાડી સોની સમાજ કારીગર વર્ગ સાથે સંકળાયેલા વેપારી અને કારીગરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોના-ચાંદીના વ્યવસાય સાથે આશરે 5 લાખ જેટલા લોકો સંકળાયેલા છે.

સોના-ચાંદીના વેપારીઓ અને કારીગરોને મંદીમાંથી બહાર કાઢવા વિવિધ એસો. દ્વારા સોની કારીગરોના હીતમાં જરૂર પડે તો રેલી કાઢી કલેકટરને આવેદન આપવામાં આવશે. તેમજ હાલની પરિસ્થિતિથી સીએમ વિજય રૂપાણીને રજુઆત કરી વાકેફ કરવાની તૈયારી દર્શાવી છે. આગામી થોડા મહિનાઓમાં દિવાળી અને લગ્નની સિઝન આવી રહી છે પહેલાં 10 ગ્રામ સોનાની કિંમત 40 હજારની નજીક પહોંચી છે ત્યારે સોના-ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કારીગરોમાં મંદીની સ્થિતિ પેદા થઈ છે તેમજ કારીગરોની રોજગારી પણ છીનવી રહી છે.

સરકાર ઝડપથી સોની કારીગરોના હિતમાં નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે. 2 લાખથી વધુને સોનાની ખરીદી પર પાનકાર્ડ લેવામાં આવે છે તેમાં પણ રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. સોનાના ભાવમાં થઈ રહેલા વધારા પાછળ હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સોના પર લગાવવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી 5%થી વધારીને કરાયેલી 12.5% ડ્યુટી ઉપરાંત 3% જીએસટીને કારણે સોનુ છેલ્લા કેટલાક મહિનામાં મોંઘું થઈ રહ્યું હોવાનું વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.

(4:48 pm IST)