Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુરતના બામણિયા ગામે જીઆરડી જવાનને માર મારના પીએસઆઇ વિનાયક ચૌધરીની અટકાયતઃ પૂછપરછ

સુરત : સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામે જામનગરના પી.એસ.આઈએ મોડી રાત્રે હોબાળો કર્યો હતો. પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં જી.આર.ડીના જવાનને માર માર્યો હતો.ગ્રામ જનો એકત્ર થતા પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મહુવા પોલીસે વિનાયક ચૌધરીની કરી અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કાયદાના રક્ષક કહેવાતા પી.એસ.આઈ મૂળ સુરત જિલ્લાના મહુવા તાલુકા કઢઈયાં ગામના રહેવાસી અને હાલ જામનગરમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા વિનાયક ચૌધરી. મધ રાત્રે વતન મહુવા આવતા હતા. દરમિયાન બમણિયા ગામની સિમમાં નશાની હાલત માં ઉત્પાત મચાવ્યો હતો. અને ત્યાં ફરજ પર હાજર જી.આર.ડીના જવાનને  ઢોરમાર માર્યો હતો. તેમજ લોક ટોળું એકત્ર થતાં પોતાની સર્વિસ રિવોલ્વર માંથી જમીન ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

મધ રાત્રે પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ ઉત્પાત મચાવતા મહુવા પોલીસને પણ જાણ કરાઈ હતી. મહુવા પોલીસ તેમજ ડી.વાય.એસ.પી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા. સ્થળ પરથી ત્રણ જેટલી કાર્ટુસ પણ મળી આવી હતી. તેમજ તેમની ઇનોવા કાર પણ કબ્જે લેવાય હતી. અને નશાની હાલતમાં પીએસઆઇ વિનાયક ચૌધરીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

હાલ તો સમગ્ર મામલે પી.એસ.આઈ વિનાયક ચૌધરી વિરુદ્ધ પ્રોહીબીસન, રાજ્ય પોલીસ સેવકના કામમાં અડચણ તેમજ આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જોકે પી.એસ.આઈ વિનાયક ચૌધરી ફરજ પર હોવા છતાં અનેક વાર વિવાદોમાં આવ્યા હતાં. અગાઉ પણ નવસારી જિલ્લાના ચીખલી પોલીસમાં પણ નશાની હાલતમાં પકડાતા બરતરફ કરી સજાના ભાગ રૂપે જામનગર મોકલાયા હતા.

(5:02 pm IST)