Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઘાટલોડિયામાં લોન એજન્ટે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

લોન ન ભરી શકતા આત્મહત્યા કરી : ખાનગી બેંકમાં લોન એજન્ટ યુવકે લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવતા હોમ લોનના હપ્તા ભરી શક્યો ન હતો

અમદાવાદ, તા. ૨૯ : કોરોના લોકડાઉનને કારણે બેરોજગાર બની ગયેલા લોકોના આપઘાતના કિસ્સા વધી ગયા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨૮ વર્ષીય યુવકે હોમ લોન ન ભરી શકતા અંતે જીવન ટૂકાવ્યું હતું. દરેક લોન સપનાનું ઘર મેળવવા માટે મદદ કરે છે. જતીન શાહે પણ પ્રાર્થના કરી હતી કે એક દિવસ તે સારા નસીબનો આનંદ ભોગવે. ત્યારે એક વર્ષ પહેલા તેણે ઘાટલોડિયામાં પોતાનો એપાર્ટમેન્ટ લીધો હતો. પરંતુ લોકડાઉન દરમિયાન તેનું સપનું તૂટી ગયું. જતીન હોમ લોનની ઈન્સ્ટોલમેન્ટ ભરવા માટે પૈસા ન કમાઈ શકતા હોવાથી છેલ્લે તેણે દુઃખી માતા-પિતાને એકલા છોડીને આપઘાત કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે 'સરગમ એપાર્ટમેન્ટનો રહેવાસી અને ખાનગી બેંકોમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો જતીન અન્ય વ્યક્તિઓને લોન આપવાની સુવિધા આપતો હતો અને મંજૂર થયા બાદ લોન પર કમિશન મેળવતો હતો.

           ' પોલીસે કહ્યું કે, 'તેના પરિવારમાં વૃદ્ધ માતાપિતા અને બે બહેનો છે અને બંનેના લગ્ન થઈ ગયા છે. આશરે એક વર્ષ પહેલા જતીન ઘાટલોડિયા મકાન ખરીદવા માટે લોન લઇને તેની માતા અને પિતા સાથે રહેવા માટે ગયો હતો. તે લગભગ ૧૭,૦૦૦ રૂપિયા માસિક હપ્તો ચૂકવતો હતો. જોકે, લોકડાઉન થયું ત્યારથી તે કોઈ કમાણી કરી શક્યો ન હતો અને તે ઘરના ખર્ચનું સંચાલન અને લોન કેવી રીતે ચૂકવશે તેની ચિંતામાં હતો.' પોલીસે ઉમેર્યું કે, 'તેના માતાપિતાના કહેવા મુજબ તે છેલ્લા કેટલાક સમયથી તેની માતાને કહેતો હતો કે જે તે હોમ લોનના હપ્તાઓ ચૂકવવામાં અસમર્થ હોવા અંગે ઉદાસી અનુભવી રહ્યો હતો. તેની માતાએ અમને એમ પણ કહ્યું કે તેમને છેલ્લા ચાર મહિનાથી લાઇટ બિલ પણ ચૂકવવામાં આવ્યું નથી. જતીન આને કારણે સતત દબાણ અને તણાવમાં હતો. આખરે સોમવારે સવારે તેણે પોતાના નિવાસ સ્થાને ફાંસી લગાવી હતી.' પોલીસે કહ્યું કે, 'મની લેન્ડર્સ દ્વારા હેરસમેન્ટ અંગે અમને કોઈ માહિતી મળી નથી.' ઘાટલોડિયાના હેડ કોન્સ્ટેબલ શૈલેષ દલસંગભાઇએ જણાવ્યું હતું કે, 'અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.'

(9:36 pm IST)