Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નવરાત્રી નહી યોજાય તો ૨૦ હજાર કલાકારો બેકાર થશે

કલાકારો સાથે લાખો લોકો બેકાર થવાની ભીતિ : સરકાર નવરાત્રીની મંજૂરી નહીં આપે તો તેમની સાથે જોડાયેલા વિવિધ રીતે સંકળાયેલાઓની હાલત નબળી થશે

અમદાવાદ , તા.૨૯ : વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે ગુજરાતની સંસ્કૃતિની પરંપરા નવરાત્રી નહીં થઈ શકે. કારણ કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો ગુજરાતમાં આ નવરાત્રીનું આયોજન નહીં થાય તો રાજ્યના અનેક કલાકારો  બેકાર થશે અને તેમની હાલત એક કફોડી થશે. અમદાવાદના વ્યાસ બ્રધર્સનાં નામથી જાણીતા કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસ પણ કહી રહ્યા છે કે, જો સરકાર નવરાત્રીની મંજૂરી નહીં આપે તો તેમની અને તેમની સાથે વિવિધ રીતે જોડાયેલાઓની  હાલત ખૂબજ નબળી પડશે. નવરાત્રી દરમિયાન દર વર્ષે નવરાત્રીના નવ દિવસમાં અમદાવાદમાં ૨૦,૦૦૦ જેટલા લોકોને નવરાત્રીના માધ્યમથી સીધી અથવા આડકતરી રીતે રોજગારી મળે છે. જેમાં ન માત્ર આર્ટિસ્ટ પરંતુ પાર્ટી પ્લોટ ડેકોરેટર મેકઅપ મેન કપડાના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી મળે છે. જ્યારે અમદાવાદમાં પાર્ટી પ્લોટના માલિક ભાવેશ પુરોહિત જણાવે છે કે, ગુજરાતી સંસ્કૃતિમાં નવરાત્રીના નવ દિવસ એ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.

            આસ્થાની સાથે સાથે નવરાત્રી સાથે અનેક વ્યવસાયો સાથે જોડાયેલા છે અને આ નવ દિવસમાં આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે. અમદાવાદ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે આ વર્ષે નવરાત્રીની મંજૂરી ન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાર્ટી પ્લોટના માલિકોની હાલત કફોડી થઇ છે. કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસ એમ પણ જણાવે છે કે, દર વર્ષે ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવરાત્રી દરમિયાન ૫૦થી ૬૦ ગ્રુપ વિશ્વના જુદા જુદા દેશોની અંદર કાર્યક્રમ આપવા માટે જતા હોય છે તે પણ આ વર્ષે નહીં યોજાય તો કલાકારોની હાલત ખૂબ નબળી થશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન કલાકારો એ સમગ્ર વર્ષના બધાની આવક કરતા હોય છે. સામાન્ય દિવસોમાં મળતા મહેનતાણા કરતા તેમને ૩થી ૪  ગણું વધુ મહેનતાણું આ દિવસોમાં મળતું હોય છે અને લૉકડાઉનના પરિણામે કલાકારોનો ધંધો બેસી ગયો છે ત્યારે નવરાત્રીને મંજૂરી આપવામાં આવે તો કલાકારો પોતાનું ગુજરાન ચલાવી શકે.

(8:13 pm IST)