Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

શનિવારથી ગુજરાતમાં મુશળધાર વરસાદની સંભાવના : ૬૬ જળાશયો એલર્ટ પર

પોરબંદર, જુનાગઢ, દ્વારકા, સોમનાથમાં ભારે વરસાદનો વર્તારો : રાજ્યમાં કુલ ૮૨.૭૮ ટકા વાવેતર : સર્વગ્રાહી સમીક્ષા કરતા રાહત કમિશનર હર્ષદ પટેલ

ગાંધીનગર તા. ૨૯ : રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને ગઇકાલે વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો હતો જેમાં ડેપ્યુટી કલેકટર (એસ.ઇ.ઓ.સી) તૃપ્તિ જે. વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓનું સ્વાગત કરી વેધર વોચની મીટીંગની શરૂઆત કરી જણાવ્યુ કે, રાજયમાં અત્યાર સુઘી રાજયમાં અત્યાર સુઘી તા.૨૮/૦૭ અંતિત ૩૩૬.૧૭ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૪૦.૪૫% છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૫ જિલ્લાના કુલ ૪૭ તાલુકાઓમાં સરેરાશ વરસાદ ૨.૫૯ મીમી નોઘાયેલ છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુઘી ૩૯ તાલુકાઓમાં ૧ મીમી થી ૧૩૮ મીમી વરસાદ નોઘાયેલ છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૈાથી વઘુ ૧૩૮ મીમી વરસાદ નોંધાયેલ છે.

IMD ના અઘિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયમાં અત્યાર સુધી સિઝનનો લગભગ ૪૧% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહયુ છે, જેના લીધે ૧ ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી ૫ દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભુમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા ૫ દિવસ દરમ્યાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ કે, ચાલુ વર્ષે અંદાજીત ૭૦.૨૭ લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૭/૦૭ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૮.૧૭ લાખ હેકટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૨.૭૮% વાવેતર થયેલ છે.  સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યાનુસાર સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૮૬ મીટર છે તેમજ ૧૭૨૯૭૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૭૮% છે. તેમજ ૧૧૨૬૭ કયુસેક પાણીની આવક થયેલ છે. તેમજ રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૯૧૫૯ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૧૪% છે. હાલમાં રાજયમાં કુલ-૬૬ જળાશય એલર્ટ ૫ર છે.

(11:38 am IST)