Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વિઠ્ઠલ રાદડિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ,તા.૨૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. વિજય રૂપાણીને સ્વ. વિઠ્ઠલભાઇના અવસાનના સમાચાર મળતાં જ તેમણે તેમના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી અને આ વિપદા વેળાએ સધિયારો આપ્યો હતો. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇને શોકાંજલી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ધરતીપુત્રોના હિતની સદાય ચિંતા કરનારા એક અગ્રણી સહકારી આગેવાન ગુજરાતે ગુમાવ્યા છે. વિજય રૂપાણીએ સદ્દગતના આત્માની પરમશાંતિ માટે પ્રભુ પ્રાર્થના પણ કરી છે.

      ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રદેશ ભાજપાના દિગ્ગજ નેતા, ખેડૂત પુત્ર અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં દાયકાથી સેવાના ભાવ સાથે જાહેરજીવનમાં કાર્યરત એવાં વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધનથી ભાજપાએ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. ખેડૂતોના હિત માટે સદાય સક્રિય રહી વિઠ્ઠલભાઈ રાદડિયાએ સહકારીક્ષેત્રના માધ્યમથી વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની સેવા કરી છે.તેઓના નિધનથી સહકારીક્ષેત્ર અને ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે. વાઘાણીએ જણાવ્યું હતુ કે, વિઠ્ઠલભાઇ રાદડીયાનો જન્મ ૧૯૫૮માં જામકંડોરણા ખાતે થયો હતો.

(8:25 pm IST)