Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે

સામાન્ય નાગરિકો-ખેડૂતોને દંડે છે : કોંગ્રેસનો આક્ષેપ : સી પ્લેન, ફોટોગ્રાફી માટે, તળાવ ભરવાના નાટક કરનાર સામે કડક કાર્યવાહી કેમ થતી નથી : કોંગીનો વેધક પ્રશ્ન

અમદાવાદ,તા.૨૮ : સામાન્ય નાગરિકો-ખેડૂતોને આર્થિક દંડ સહિતની કડક જોગવાઈઓ કરતા ભાજપ સરકારના પાણી અંગેના નવા નિયમ કાયદાએ હકીકતમાં જળ વ્યવસ્થાપન (વોટર મેનેજમેન્ટ) અને જળવિતરણ (વોટર ડિસ્ટ્રિબ્યુશન)માં સદંતર નિષ્ફળતા છુપાવવા અને ભય-ડરની રાજનીતિનો ભાગ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે રાજ્યમાં જ્યારે જ્યારે વિધાનસભા,લોકસભાની ચૂંટણીઓ આવી હોય છે તે વર્ષમાં ભાજપ સરકારે ફોટો ફંકશન,

             વોટર ટુરીઝમ, સી-પ્લેન, તળાવ ભરવા જેવા કાર્યક્રમો આપીને કરોડો લીટર પાણી વેડફી અને પ્રજાને ભ્રમિત કર્યા છે. વર્ષ ૨૦૧૬  અને વર્ષ ૨૦૧૭માં વોટર એકાઉન્ટ મુજબ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ૬૫૦ %નો વધુ પાણીનો વપરાશ થયો આ પાણી કોને અપાયું? જેનો આજ દિન સુધી હિસાબ નથી. રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભામાં પાણી અંગે નાગરિક ખેડૂતોને આર્થિક દંડ જેવી કડક જોગવાઈઓ કરતા કાયદા સુધારા કર્યા પણ વારંવાર નબળા બાંધકામને કારણે કેનાલ તૂટે લાખો લિટર પાણી વેડફાઇ જાય તે માટે કેમ કોઈ મંત્રી કે કોન્ટ્રાક્ટર કે અધિકારી જવાબદાર નહીં? ભાજપ સરકારના આશીર્વાદથી જલમાફિયા, મળતીયા દ્વારા ગુજરાતમાં દસ હજાર કરોડનાં પાણીના ગેરકાયદે કારોબાર માટે જવાબદાર કોણ? રાજ્યનાં મુખ્યમંત્રીના સલાહકાર, જળનિષ્ણાત ઇજનેરે જણાવ્યું હતું કે "ભાજપ સરકારે છેલ્લા પંદર વર્ષ પાણી પુરવઠા માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા અને ગુજરાતની ભાજપ સરકાર જળવ્યવસ્થા અને જળ વિતરણ સદતર નિષ્ફળ ગઈ છે દિશાહીન છે. આયોજનનો સદંતર અભાવ છે" ત્યારે ભાજપ સરકાર ૨૦૦૧થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છ કરોડ નાગરિકો સાથે પાણી શ્રેતે કરેલી ગંભીર છેતરપિંડી, ગુનાઈત બેદરકારી ઢાંકવા માટે વિધાનસભામાં બહુમતીના જોરે પાણી અંગેના કાયદા અંગે માત્ર નાગરિકો ખેડૂતોને કેમ આકરો આર્થિક દંડ, જેલ તેવા પ્રશ્નો પૂછતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નર્મદાનું ૯ મિલિધન એકર ફીટ પાણી ગુજરાતના ભાગે આવે છે આ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન,

            યોગ્ય વિતરણ ન થવાને કારણે અને નર્મદા કેનાલનું માઇનોર, સબમાઈનોર કેનાલનું હજારો કિમી માળખું ઊભું ન કરનાર ગુનાહિત બેદરકારી દાખવનાર ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે જેવો ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી પદે હતા અને ભાજપ સરકારની દિશાહીનનીતિ ના કારણે પાણીના ઉપયોગ થઈ  શકાતો નથી. રાજ્યમાં ઉદ્યોગ આડેધડ અને અનટ્રીટેડ કેમિકલ કચરો સીધા પાણી, નદી-નાળાં ,નાખવાના કારણે ગુજરાતના કુદરતી પાણીના સ્ત્રોતો સાબરમતી, તાપી, નર્મદા સહિત નદીઓમાં ભારે  પ્રદુષિત થઈ ગઈ છે,

             પાણી પીવા લાયક રહેતું નથી ત્યારે ભાજપ સરકાર જળ વ્યવસ્થાપન અને જળવિતરણમાં  સદંતર નિષ્ફળતા, કુદરતી પાણીના સ્ત્રોતો, નદીમાં પ્રદુષણ રોકવામાં નાકામ અને સરકારની માત્રને માત્ર ચૂંટણીલક્ષી કરોડો લીટર પાણી વેડફવાની  નીતિને લીધે આજે ગુજરાતના  ૮૦૦૦ કરતાં વધુ ગામો, છ મહાનગરો અને ૨૦૦ થી વધુ નગરપાલિકા વિસ્તાર શુદ્ધ પીવાના પાણીના પરેશાની ભોગવી રહ્યા છે બીજી બાજુ ખેડૂતોને મહામુલા પાક  માટે સિંચાઈનું પાણી મળતું નથી ગુજરાતની રૂપાણી સરકાર ભાજપ સરકાર નાગરિકો ખેડૂતોને જેલમાં ધકેલવાના કાયદાના નામે ભય-ડરના માહોલનું ષડયંત્ર રચવાનો બંધ કરે.

(9:23 pm IST)