Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

છેલ્લા ૧ વર્ષથી બાળકોમાં ચિડિયાપણુ-પરિક્ષાના ભયની સમસ્યાઓઃ જાણો શું કરવુ જાઇએ માતા-પિતાએ

રાજકોટ: હાલના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ કે અન્ય માનસિક સમસ્યાઓનો ભોગ બનેલા છે, ત્યારે ખાસ ધોરણ 12 ના વિદ્યાર્થીઓના સ્વભાવમાં ચીડિયાપણું, મુડ ડિસઓર્ડર અને ભવિષ્યની ચિંતા જોવા મળી રહી છે. એક તરફ તેઓ શિક્ષકો અને વાલીઓ ના ભયથી અભ્યાસ મૂકી પણ નથી શકતા અને બીજી તરફ બાળકો કંટાળ્યા છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડૉ.ધારા આર. દોશી સાથે મનોવિજ્ઞાન ભવનના ઘણા વિદ્યાર્થીઓએ ધોરણ 12 ના 621 બાળકોનો સંપર્ક કર્યો હતો. જેમાં બાળકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી.

મોટાભાગના વાલીઓ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા અનુભવે છે કે પરીક્ષા આપવા જાય અને કશું થઈ જશે તો! બાળકોએ પણ સમસ્યા વ્યક્ત કરી કે એમને હવે ખૂબ જ કંટાળો આવે છે, કોઈ સ્પષ્ટ નિર્ણય આવતો નથી, ક્યારેક પરીક્ષા પદ્ધતિ બદલવાની વાતો સંભળાય છે તો ક્યારેક પરીક્ષા લેવાશે કે નહિ એ વિશેની અટકળો. આ બધાની વચ્ચે બાળકોના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળ્યું છે તેવું વાલીઓએ જણાવ્યું અને લટકતી તલવાર જેવી હાલત છે તેવું બાળકો કહે છે. બાળકો અને વાલીઓને ભવિષ્યની ચિંતા પણ થઈ રહી છે.

અત્યારે જો જોઈએ તો ધોરણ 12 ની પરીક્ષા એ સમાચારનો મુખ્ય વિષય બની ગઈ છે કારણ કે દરરોજ નવી નવી બાબતો બહાર આવે છે કે પરીક્ષાઓ લેવાની સંભાવના છે, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે, વાલીઓ પરીક્ષા ન લે કોર્ટમાં અપીલ કરે છે વગેરે... આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પર વ્યંગ કરે છે, વીડિયો બનાવે છે અને લોકો તેને શેર પણ કરતા થયા છે. આ બધા વચ્ચે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય હણાયુ છે. બાળકોમાં નીચે મુજબના ફેરફારો જોવા મળી રહ્યા છે

54 ટકા વિદ્યાર્થીઓમાં પરીક્ષા ફોબિયા

ઘણાં વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફોબિયા એટલે કે પરીક્ષાનો ભય જોવા મળ્યો છે. બાળકોએ આખું વર્ષ ઓનલાઇન અભ્યાસ કર્યો છે અને પરીક્ષાઓ પણ ઓનલાઇન જ આપી છે એટલે બાળકોને હવે જ્યારે ફાયનલ પરીક્ષા નજીક આવે છે તેમ પરીક્ષા વિશેનો ભય જોવા મળ્યો. પરીક્ષા સમયે વાંચેલું ભૂલાય જશે તો, પરીક્ષામાં વ્યવસ્થિત જવાબ લખી શકાશે, પરીક્ષા સમયે બધું ભૂલાય ગયાનો ભય વગેરે બાબતોને લઈને બાળકોમાં ભય જોવા મળ્યો.

27 ટકાને મૂડ ડિસઓર્ડર

બાળકો છેલ્લા એક વર્ષથી ઘરે રહીને જ અભ્યાસ કરે છે. બાળકોનો શાળામાં જે વિકાસ થતો હોય તે વિકાસ આ એક વર્ષમાં રૂંધાયો છે. બાળકો મિત્રો સાથેની રમતોમાં જ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી લેતા હોય છે પરંતુ હાલ ઘરે રહેવાનું હોવાથી બાળકો અંદર અંદર મુંજાય છે. પરિણામે બાળકો ચીડિયા બન્યા છે. નાની નાની વાતમાં બાળકો ગુસ્સો કરતા થયા છે. બાળકો ખુશ નથી રહી શકતા.

22 ટકાને ભોજન અરુચિ

ઘણા માતાપિતા અને બાળકોની સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે, બાળકોની ભોજનની ટેવમાં ફેરફાર જોવા મળ્યો છે. બાળકોનો ખોરાક ઓછો થઈ ગયો છે અને થોડું વધારે અથવા પરાણે જમાડવાનો પ્રયત્ન કરાય તો ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યા થાય છે. ઘણા બાળકોમાં આ અસર ઊંધી જોવા મળી હતી એટલે કે ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું હતું. આખો દિવસ ઘરે બેસી રહેવાનું હોવાથી બાળકોને થોડા થોડા સમયે ખોરાક લેવાની આદત પડી ગઈ છે જેથી શરીર અને ખાસ કરીને પેટનો ભાગ ફૂલવાની સમસ્યા બાળકોમાં જોવા મળે છે. આ પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે ચિંતાના કારણે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે અને તેને કારણે શરીર વધારે માત્રમાં એસિડ અને શર્કરા બનાવે છે જેની અસર પાચનક્રિયા પર પડે છે.

18 ટકાને ઊંઘમાં તકલીફ

હાલના સમયે બાળકો મોટાભાગનો સમય ઘરમાં રહે છે જેથી કોઈ શારીરિક કસરત થતી નથી, બાળકો થાકતા નથી. આ સિવાય સતત મોબાઈલ અથવા ટીવીની સ્ક્રીન સામે રહેતા હોવાથી બાળકોની ઊંઘની આદતમાં ફેરફાર થયા છે. મોટાભાગના બાળકો રાત્રે મોડે સુધી સૂઈ નથી શકતા જેથી સવારે ઉઠવામાં તકલીફ પડે છે. આખો દિવસ સુસ્તી રહે છે. વધારે સમય સ્ક્રીન સામે રહેવાથી આખો ખેંચાય, માથું દુખે વગેરે જેવી સમસ્યા પણ સર્જાય છે.

27 ટકા વિદ્યાર્થીઓ એકાંતમાં રહેવું પસંદ કરે છે

બાળકો છેલ્લા ઘણા સમયથી ઘરમાં પુરાયા છે એટલે હવે એમને બહાર નીકળવાનું કે ક્યાંય બહાર જવાનું કહેવામાં આવે તો તે સહમત થતાં નથી. લોકો સાથે વાતચીત કરવી કે કંઈ રીતે પ્રતિક્રિયા કરવી વગેરે જેવી બાબતોને લઈને બાળકો ચિડાય છે. તેવું ઘણા માતાપિતાએ જણાવ્યું. આ સિવાય ઘણા બાળકો સાથેની વાતચીત દ્વારા એ પણ જાણવા મળ્યું કે હવે બાળકોને અમુક મિત્રો સિવાય કોઈ જોડે ફોનમાં કે રૂબરૂ વાત કરવામાં કોઈ જ રસ નથી.

36 ટકાને લોકો સાથે રહેવું ગમતું નથી

બાળકો ઘરમાં રહીને ચીડિયા બન્યા છે તેની સાથે બાળકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઘણા માતાપિતા સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે, એમના બાળકો આખો દિવસ રૂમમાં જ રહે છે. આ સિવાય એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ તો ચિડાય છે. એમને કંઈ પૂછી તો વ્યવસ્થિત જવાબ નથી આપતા અને ગુસ્સો કરે છે. સરખો જવાબ નથી આપતા. એમને શું સમસ્યા છે અથવા પરીક્ષા લક્ષી કોઈ સવાલ પૂછવામાં આવે તો પણ વ્યવસ્થિત જવાબ નથી આપતા.

વાલીઓની વ્યથા

ધોરણ 12 માં અભ્યાસ કરતા બાળકોના કેટલાક વાલી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એક તરફ પરીક્ષા નહિ લેવાય તો બાળકોના ભવિષ્યનું શું થશે એ વાતની ચિંતા છે તો બીજી બાજુ જો પરીક્ષા લેવાય અને પરીક્ષા આપવા જવાનું થાય તો બાળકોને કોરોના થશે તો તેવી ચિંતા વાલીને થાય છે. પરીક્ષાની વચ્ચે એટલે કે થોડા પેપર આપ્યા બાદ જો બાળકોને કોરોના થાય તો તે પછીની પરીક્ષાનું શું થાય તેવા પ્રશ્ન એ પણ ઘણા લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

અન્ય સમસ્યાઓ

આવી સ્થિતિમાં બાળકોને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, જેમકે ઘરેથી માતા પિતા દ્વારા તેમજ શિક્ષકો દ્વારા વાંચવા માટે આગ્રહ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતિને આઘાત પહોંચે છે. બાળકોને આ વયમાં મિત્રો સાથે વધુ સમય પસંદ કરતા હોય છે અને મિત્રો સાથે રહીને જ ઘણું શીખતા હોય છે, સમસ્યાના ઉકેલ મેળવવા હોય છે પરંતુ હાલએ બધું જ અટકી ગયું છે અને પરિણામે બાળકો અંદર અંદર ખૂબ અકળાયા છે. ઘણા બાળકો ઘરના કડક વાતાવરણના લીધે અકળાયા છે, કારણ કે બહાર ક્યાંય જઈ નથી શકતા અને ઘરે સતત સૂચનાઓનો મારો થતો હોય, આસપાસના લોકો પરીક્ષાઓ અંગે અટકળો જણાવ્યા કરતા હોય, પરીક્ષાને લઈને ઘણા લોકો અલગ અલગ સલાહ આપતા હોય વગેરે બાબતોની વચ્ચે બાળકો માનસિક અસ્વસ્થ બન્યા છે.

કેટલાક બાળકો ઓનલાઇન શિક્ષણના કારણે મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના વ્યસની થઈ ગયા છે, પરિણામે પરીક્ષા નજીક આવતા હવે અભ્યાસને લઈને તણાવ અનુભવતા થયા છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે મોબાઈલએ મનોરંજનનું સાધન છે તેમાં ભણવાની વાત આવે એટલે વિવિધ ગેમ અને સોશિયલ સાઈટ પર ધ્યાન જતું રહે. ક્યારેક એમ થાય કે એક બે મિનિટ સોશિયલ મીડિયામાં જોઈ લઉં ત્યાં કલાક કેમ નીકળી જાય છે તેની ખબર રહેતી નથી. તેની સાથે માતા પિતા પણ ચિંતામાં છે કે, બાળકોની પરીક્ષાનું શું થશે? કેટલાક માતાપિતાએ જણાવ્યું કે એકને ગોળ અને બીજાને ખોળ એવું થયું છે. અમારા સંતાનો પરીક્ષા આપવા જશે અને સંક્રમિત થશે તોએની ચિંતા છે. વેક્સિનની વ્યવસ્થા પહેલા થાય 12 માં ધોરણના વિદ્યાર્થી માટે તે ખુબ જ જરૂરી છે. કેટલાક માતાપિતાએ જણાવ્યું કે એક વર્ષ ભલે બગડે અમે અમારા સંતાનને પરીક્ષા આવતા વર્ષે અપાવશુ.

આવી પરિસ્થિતિમાં માતાપિતા અને બાળકો બંને જો વ્યવસ્થિત કેટલીક વાતોનું ધ્યાન રાખીને ચાલે તો તણાવ ઓછો થઈ શકે છે.

માતાપિતા એ શું કરવું જોઈએ

    માતાપિતા એ બાળકો ને સતત ભણવાની જ વાતો ન કરતા એ સિવાય ની અન્ય વાતો પણ કરવી જોઈએ.

    ક્યારેક બાળક સતત ઘરમાં રહી ને અથવા અભ્યાસ થી કંટાળીને ચિડાય તો તેની સામે ગુસ્સો કરવાની બદલે તેના ચીડિયાપણા પાછળનું કારણ સમજી ને તેની સાથે વર્તન કરવું જોઈએ.

    બને ત્યાં સુધી બાળકો ની સામે નકારાત્મક સમસ્યાઓની ચર્ચા ટાળવી. ઘરની આર્થિક સમસ્યાઓ અંગે બાળકોને જાણ હોવી જરૂરી છે પરંતુ તેના વિષેની સતત ચર્ચા બાળકોની સામે ન કરવી.

    ઘરનું વાતાવરણ બને ત્યાં સુધી સકારાત્મક અને શાંત રાખવું.

    ક્યારેક બાળકો ની સાથે તેને ગમતી રમત રમવી જોઈએ અથવા બાળક ને સતત ઘર માં રહેવાનું હોવાથી ઘર નું વાતાવરણ તંગ ન બને એ રીતે થોડી છૂટછાટ બાળકો ને આપવી જોઈએ, જેથી બાળકને બંધાણ ન લાગે. વધારે દબાવ માં રહી ને બાળકો સંસ્કારી નથી બનતા ઉલટાનું બાળકનું માનસિક સ્વાસ્થ્ય નબળુ પડી શકે છે. એ વાત સમજવી ખૂબ જરૂરી છે.

    બાળકો ને ગમતી કોઇપણ પ્રવૃત્તિ પણ કરવાની છૂટ આપવી જોઈએ. એ યાદ રાખો કે બોર્ડની પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી.

બાળકોએ શું કરવું જોઈએ

    બાળકો ને હાલ સમય વધારે મળ્યો છે તો વાંચન ના સમય માં થોડો ફેરફાર કરીને વ્યવસ્થિત ટાઇમ ટેબલ પ્રમાણે અભ્યાસ ની સાથે પોતાના માટે પણ થોડો સમય કાઢવો જોઈએ અને એ સમયમાં સ્ક્રીન થી દૂર રહી ને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ કારણ કે ગમતું કાર્ય કરવાથી મન ફ્રેશ રહે છે અને વધુ સારી રીતે કોઈ પણ કાર્ય કરી શકાય છે.

    આખો દિવસ ઘર માં રહેવાનું હોય તો થોડો સમય બહાર ચાલવા માટે જવું જોઈએ જેથી શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકે.સાથે પરીક્ષા ને માત્ર ટકાવારી પૂરતી ન રાખી જીવનમાં કઈક શીખવા મળ્યું એમ સમજી લેવી.

(4:47 pm IST)