Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

નડિયાદ:નેશનલ હાઈવે 48 નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક સવાર બને શખ્સોના ઘટનાસ્થળેજ મોત

નડિયાદ: નેશનલ હાઈવે નં.-૪૮ સંધાણા ઇદગાહ નજીક બુધવારે મધરાત્રે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર બંનેના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. આ બનાવ સંદર્ભે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કઠલાલ તાલુકાના છીપિયાલમાં રહેતા મણીભાઈ અમરસિંહ ડાભીના દીકરા શૈલેષના લગ્ન ગોગજીપુરામાં રહેતા સુરેશભાઈ મણીભાઈ ઝાલાની દીકરી ભૂમિકાબેન સાથે થયા હતા. સુરેશભાઈ તેમની સાસરી બામરોલીમાં રહેતા હોવાથી શૈલેષ ડાભી ગઈકાલે સવારે દીકરાને ઘરે રાખી પત્ની ભૂમિકાને મોટર સાયકલ પર બેસાડી મૂકવા બામરોલી ગયો હતો. જ્યાંથી પત્નીને મૂકી પરત ઘરે ગયો હતો. ત્યારે ચાર વર્ષનો દીકરો ભવ્ય તેની માતાની યાદ આવતા રડવા લાગ્યો હતો. જેથી શૈલેષ ડાભી તેના દીકરા ભવ્યને તેની માતા પાસે મુકવા મોટરસાયકલ ઉપર બેસાડી બામરોલી ગયો હતો. બાદમાં રાત્રે શૈલેષ ડાભી અને ગોપાલભાઈ નટુભાઈ સોલંકી બંને મોટરસાયકલ લઈ હાઇવે પર હોટલમાં જમવા જવા નીકળેલા હતા. તેઓ સંધાણા નજીકથી મધરાત્રે પસાર થતા હતા ત્યારે પુરઝડપે આવેલ કોઈ અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી અજાણ્યા વાહનની અડફેટે આવી ગયેલા બાઇક સવાર શૈલેષભાઈ ડાભી (ઉં.વ.૨૪) તેમજ ગોપાલભાઈ નટુભાઈ સોલંકી (રહે. બામરોલી, ઉં.વ. ૩૪) બંનેને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા મણીભાઈ અમરસિંહભાઈ ડાભી બનાવના સ્થળે દોડી ગયા હતા. તેઓએ માતર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

(6:08 pm IST)