Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

તલોદ-મજરા રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત ;બંને વાહનોમાં આગ ભભુકતા બળીને ખાખ :એક્ટીવા ચાલકનું મોત

કાર ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતાહોસ્પિટલમાં ખસેડાયો

 

 સાબરકાંઠાના મજરા ચોકડી નજીક મજરા રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ એક્ટિવા અને કારમાં આગ લાગતા બંને વાહનો બળીને ખાખ થયા હતા કાર ચાલકના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.

  અમદાવાદ-ઉદેપુર ને.હા. પર આવેલી મજરા ચોકડી નજીક તલોદ-મજરા રોડ પર કાર-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બંને વાહનો આગમાં ખાખ થયા હતા. એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સદાના મુવાડા ગામના વનરાજસિંહ જાલિમસિંહ રાઠોડ એક્ટિવા પર ખેતીકામ માટે નજીકના પેટ્રોલપમ્પ પરથી કેરબામાં ડીઝલ લઈ મજરા રોડ પરથી પસાર થતા સામે થી પુરઝડપે આવતી કારે ટક્કર મારી હતી.

એક્ટિવા ચાલક વનરાજસિંહ રોડ પર પટકાતા અને એક્ટિવામાં આગ ફાટી નીકળતા આગમાં લપેટાતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા જેને પગલે ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર રોડસાઈડ ખેતરમાં ઉતરી ગઈ હતી અને તેમાં પણ આગ લાગતા કારચાલક કારમાંથી જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. કાર ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યૂલન્સ મારફતે તલોદ સારવાર અર્થે ખસેડાયો હતો.

અકસ્માતના પગલે તલોદ-મજરા રોડ પર ટ્રાફિક જામ થતાં પ્રાંતિજ ટ્રાફિક પોલિસ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. તો પ્રાંતિજ પોલીસે મૃતક એક્ટિવા ચાલકની લાશને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથધરી હતી. દિનુસંગ ભલાજી રાઠોડની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

(10:47 pm IST)