Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતમાં નવદંપતિએ લગ્નમાં ખર્ચ તો ઓછો કર્યો પરંતુ બચેલા રૂપિયાનો સદ્ઉપયોગ વૃક્ષારોપણ માટે કર્યો

સુરત :આજના સમયમાં યુવક અને યુવતી જ્યારે પોતાના લગ્નની તૈયારી કરતા હોય છે ત્યારે ખર્ચો આંખ બંધ કરીને કરતા હોય છે. લગ્નમાં કશું છૂટી ન જાય અને સમાજમાં પોતાનો અને પરિવારનો વટ પડે તેવું ઇચ્છતા હોય છે, પરંતુ બીજી તરફ એવા પણ લોકો છે, જે ઈચ્છે છે કે તેમના લગ્નનો ખર્ચ ઓછો થાય અને રૂપિયાની બચતથી તેમને ફાયદો થાય. જોકે સુરતમાં એક કપલ એવું છે જેમને પોતાના લગ્નમાં ખર્ચ તો ઓછો કર્યો હતો, પરંતુ બચેલા રૂપિયાનો સદુપયોગ વૃક્ષારોપણ માટે કર્યો છે.

વૃક્ષારોપણ કરી રહેલા આ કપલ છે હેમા અખાડે અને અમિત મૈસૂર્યા. બંનેના ગત 9 ફેબ્રુઆરીના રોજ સુરતમાં લગ્ન થયા હતા. આમ તો બંને ઇચ્છતા હતા કે તેમના લગ્ન ધામધૂમપૂર્વક થાય. કારણ કે લગ્નનો પ્રસંગ જીવનમાં એક જ વખત આવતો હોય છે. પરંતુ હેમા ઈચ્છતી હતી કે, તેના લગ્ન ખૂબ જ નજીવા ખર્ચમાં થાય અને જે રૂપિયા પછી તેનો એક ભાગ સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય. આ દરમિયાન તેમની મુલાકાત સુરતમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે થઈ હતી. વિરલ વૃક્ષારોપણનું મહા ભગીરથ કામ સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ વૃક્ષો તેઓ વાવી ચૂક્યાં છે. સાથે અનેક લોકોને આ દિશામાં તેમને મદદ પણ કરી છે, જેથી હેમા દ્વારા જે ઇચ્છા વ્યક્ત કરાઇ હતી. તેમાં વૃક્ષારોપણ કરવાનો એક વિચાર મુકવામાં આવ્યો હતો.

આજે ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયાભરમાં મંડરાઇ રહ્યો છે. જેના કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, એક તરફ વૃક્ષો સતત ઘટી રહ્યાં છે અને બીજી તરફ પ્રદૂષણની માત્રા પણ સતત વધી રહી છે. આમ શહેરમાં ઓક્સિજન અને ગ્રીન સ્પેસ ઘટી રહ્યો છે. પોતાના લગ્નમાં ઓછો ખર્ચ કરી તેમાંથી બચેલા રૂપિયાનો એક ભાગ વૃક્ષારોપણમાં આપવા માટે તેઓ નક્કી થયા. હેમા અને તેના પતિ વિરલ દેસાઈની મદદથી સુરતમાં આવેલી મહિલા આઇટીઆઇ ખાતે પહોંચ્યા હતા જ્યાં આઈટીઆઈના કમ્પાઉન્ડમાં સોથી વધારે છોડવાનું રોપણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

માત્ર એટલું જ નહીં આ આખા કમ્પાઉન્ડમાં હજુ ૨૦૦ જેટલા છોડવાઓ રોપવામાં આવશે. જેના કારણે સમગ્ર કેમ્પસ લીલુંછમ થઇ જશે. હેમાએ વૃક્ષારોપણ કરી જણાવ્યું હતું કે, તે આજે ખૂબ ખુશ છે. કારણકે તેને ખરા અર્થમાં કુદરતની મદદ કરી છે. આ તબક્કે તને કહ્યું હતું કે વૃક્ષારોપણ કરવાની આપણા સૌની ફરજ છે. પરંતુ સાથે જ તેની કાળજી પણ એટલી જ લેવાવી જોઈએ. બીજી તરફ વિરલ દેસાઈનું કહેવું છે કે, સુરત સહિત આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જેને દૂર કરવાનો એક માત્ર ઉપાય વૃક્ષો વાવવાનું છે. કારણકે વૃક્ષો નહિ હોય તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બની શકે છે. ત્યારે હેમા અને એના પતિએ જે પ્રયાસ કર્યો છે તે જરૂરથી વખાણવા લાયક છે અને આવો પ્રયાસ તમામ લોકો કરે તે પણ જરૂરી છે.

(4:31 pm IST)