Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ ૧૬૪૧ કામોથી ૪.ર૪ લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા વિજયભાઇ રૂપાણી

તાપી જિલ્લાના આદિજાતિ તાલુકા સોનગઢમાં સિંચાઇ સુવિધા માટે રૂ. ૧૪.૩ર કરોડના ૧૩ મોટા ચેકડેમને મંજૂરી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોનગઢ તાલુકાના ૧૧ ગામોના પ૦૦ આદિજાતિ પરિવારો-૯૦૦ એકર જમીનને મળશે સિંચાઇ-પાણીનો વ્યાપક લાભ: ૩૮ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૧૪ જિલ્લાઓના પ૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમાં નાની-મોટી સિંચાઇ યોજનાના વિવિધ  ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ર૪ હજાર પ૦૭ એકર જમીનમાં સિંચાઇ સવલતો પૂરી પાડી છે
       રાજ્યના ૧૪ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર તેમજ ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના પ૪ તાલુકાઓના આદિજાતિ વિસ્તારો મોટા ભાગે ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે
        મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિસ્તારોમાં સિંચાઇના પાણી માટેની સમસ્યાનો નિવેડો લાવી વનબંધુઓને સિંચાઇ માટે પાણી અને જળસમૃદ્ધિ આપવાના સંવેદનશીલ અભિગમથી ર૦૧૬થી ર૦ર૦ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાના-મોટા ચેકડેમો, લિફટ ઇરિગેશન સ્કીમ તથા ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો મોટા પાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે.
        તદઅનુસાર, ૩૪૪ એલ.આઇ. સ્કીમ, ર૩૪ નાની-મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩ર નાના-મોટા ચેકડેમ તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની સમગ્રતયા ૪,ર૪,પ૦૭ એકર જમીનને સિંચાઇ લાભ પહોચાડવામાં આવી રહ્યો છે
        આવા ડુંગરાળ અને દુર્ગમ તથા વિષમ સ્થિતી વાળા વિસ્તારોમાં સિંચાઇ પાણી સુવિધા માટે રૂ. ૩૭૯૬ કરોડની વિવિધ ૧૦ ઉદવહન સિંચાઇ યોજનાઓના કામોને પણ મંજૂરી આપેલી છે. આ યોજનાઓના કામો હાલ વિવિધ  સ્તરે પ્રગતિ હેઠળ છે. આ કામો પૂર્ણ થવાથી મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાના ર૧ તાલુકાના પ૯૦ ગામોમાં સિંચાઇ સવલતો મળતી થઇ જશે.
         મુખ્યમંત્રીએ  ડુંગરાળ અને વિષમ ભૌગોલિક સ્થિતી ધરાવતા દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા માટે ર૦ર૦-ર૧ના વર્ષમાં રૂ. ૧૧૪ર.ર૩ કરોડની બજેટ જોગવાઇઓ કરેલી છે
         મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ વિસ્તારમાં સિંચાઇ, પાણી સુવિધા માટે દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના સોનગઢ તાલુકાના ૧૩ મોટા ચેકડેમ નિર્માણ માટે ૧૪.૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.સોનગઢ તાલુકામાં એવરેજ ૧૩૦૦ મી.મી. વરસાદ વરસતો હોય છે.
         ઉકાઈ જળાશય જેવી મોટી યોજના પણ આ તાલુકામાં હોવા છતા ભૌગોલિક પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે સોનગઢના ગામોમાં પૂરતું પાણી સિંચાઈ માટે મળી શકતું નથી.
         આ તાલુકામાં બહુધા વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી જળ નદીમાં વહી જાય છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આ સમસ્યાના નિવારણમાં તાપી-સોનગઢના ખેડૂતો આગેવાનોએ કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ યોજના મંજૂર કરી છે.
 વિજયભાઈ રૂપાણીએ મંજૂર કરેલી આ યોજના હવે સોનગઢ તાલુકામાંથી પસાર થતી નદીઓ અને સ્થાનિક કોતરો ઉપર ચેકડેમ બાંધીને આદિજાતિ ખેડૂતોને સિંચાઈ માટે સરળતાથી પાણી બારેય માસ મળતું થશે.
         મુખ્યમંત્રી તદ્અનુસાર સોનગઢ તાલુકાની રંગાવલી, ગીરા, ઝાંપરી, અંજના, ધોદાવલી, છાપડી નદીઓ તેમજ મોટા કોતરો પર જુદા જુદા સ્થળોએ ૧૩ મોટા ચેકડેમ નિર્માણના આયોજનને મંજૂરી આપી છે.આ ૧૩ મોટા ચેકડેમ બનવાને પરિણામે સમગ્રતયા ૩૮ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે અને તેનો લાભ ૧૧ ગામોના ૫૦૦ આદિવાસી પરિવારો અને ૯૦૦ એકર જમીન વિસ્તારને મળતો થશે.
           વિજયભાઈ રૂપાણીના આ આદિજાતિ કલ્યાણ અભિગમને પરિણામે વરસાદી પાણીનો આ ચેકડેમમાં સંગ્રહ  થવાથી ભૂતળ જળસ્તર ઊંચા આવશે.
એટલું જ નહીં, ખેડૂત ખાતેદારોની આવકમાં વધારો, ઉનાળામાં પણ પાક લેવાની સરળતા બેય મળશે. પશુ-પક્ષીઓ તથા માનવ વસ્તીને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં મળતું થશે.
         આમ, મુખ્યમંત્રીએ સમગ્ર વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિના યજ્ઞ દ્વારા આદિજાતિ બાંધવોને પણ વિકાસના મુખ્ય આધાર સમા પાણીની પૂરતી ઉપલબ્ધિની મહત્વપૂર્ણ કાર્ય યોજનાઓને વાસ્તવિક રૂપ આપ્યું છે.  

(7:03 pm IST)