Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલ આશિષ ચૌધરીએ આંબાના ઝાડ ઉપર લટકીને જીવ દીધો

સુરત: જિલ્લાનાં મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલ આશિષ ચૌધરીએ આપઘાત કરતા મહુવા પોલીસ બેડામાં ચકચાર મચી છે. મહુવા પોલીસ મથકમાં આશિષ વિનોદભાઇ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આશિષ પુણા ગામના એક ખેતરમાં આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઇને જીવ ટૂંકાવ્યું હતું. મહુવા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.

પરિવારનાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી આશિષભાઇ બીમારીથી પીડિત હતા. જેથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આશિષનાં મૃતદેહનો પોલીસે કબ્જો લઇને વલવાડા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહુવા પોલીસ મથકનો કાફલો વલવાડા પીએમ રૂમ ખાતે પહોંચ્યો છે. પોલીસ મથકમાં ફરજ બજાવતા નવયુવાન આશિષે આત્મહત્યા કરતા સાથી સ્ટાફમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

અમદાવાદમાં કોન્સ્ટેબલ અને સુરતનાં PSI એ આપઘાત કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરનાં ઉધના પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ અમિતા જોશીએ ગત્ત 5 ડિસેમ્બરના રોજ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો. અમિત જોશીનાં આપઘાતની દુષ્પ્રેરણા કેસમાં પતિ સહિત સાસરિયાનાં 5 લોકો જેલમાં છે. તો બીજી તરફ અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કરી હતી. પોતાનાં મિત્રો સાથે અમદાવાદનાં શુભદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

(5:08 pm IST)