ગાંધીનગર :મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભૂજના ઐતિહાસિક ભૂજિયા ડુંગર પર નિર્માણ પામી રહેલા સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે ૪૭૦ એકર વિસ્તારમાં અહીં થઇ રહેલા વિવિધ કાર્યો ટૂરિસ્ટ ફ્રેન્ડલી અને સિનીયર સિટીઝન ફ્રેન્ડલી બને તે રીતે સુવિધાસભર બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભૂજમાં સ્મૃતિવન સોસાયટીના નેજા તળે નિર્માણ પામી રહેલા આ સ્મૃતિવનની વિવિધ કામગીરી નિહાળીને પ્રગતિની સમીક્ષા કરી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કચ્છના ર૦૦૧ના ભયાવહ ભૂકંપમાં જાનગુમાવનારા ૧૩૮૦પ મૃતાત્માઓની કાયમી યાદમાં ભૂજિયા ડુંગર પર આ સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સમીક્ષા બેઠકમાં એવી પણ સૂચના આપી કે પ્રવાસીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે એ પ્રકારની સુવિધા સ્મૃતિવનમાં ગોઠવવી જોઇએ. પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, બનાવવા પડશે.
તદ્દઉપરાંત, વિશ્રામ માટે બાંકડા મૂકવા પણ તેમણે જણાવ્યું હતું. શાળાના પ્રવાસો માટે અલગ વ્યવસ્થા થાય અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી થાય એ રીતે સમગ્ર આયોજન કરવાની બાબતે તેમણે સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અહીં નિર્માણ પામનાર સંગ્રહાલયની સંરચના બાબતે પણ ઉંડો રસ દાખવ્યો હતો. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે આ સંગ્રહાલયમાં આવનારા મુલાકાતીને કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થાય તેવું આયોજન કરવું જોઇએ.
સ્મૃતિવન દર્શનીય અને રમણીય સ્થળ બની રહે તે માટે ડુંગર ઉપર આકર્ષક લેન્ડ સ્કેપિંગ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. જ્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાની સાથે તેમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળવા તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ હાલ ચાલી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ સમીક્ષા બેઠકમાં સ્મૃતિવનમાં થયેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમાં ભૂજિયા ડુંગર ફરતે બાઉન્ડ્રી વોલ, તલાવડી, સનપોઇન્ટ,પાથ વે અને લેન્ડ સ્કેપની કામગીરીપૂર્ણ થઇ ગઇ છે. ભૂજિયા ડુંગર ઉપર આવેલા કિલ્લાની દિવાલનું રિસ્ટોરેશનની કામગીરીની મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી અને તેને ઝડપથી પૂર્ણ સૂચના આપી હતી.
એમેનિટીઝ બોક્સ, પોઝ પોઇન્ટ, ગેટ અને કેબીનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સંગ્રહાલયનું બાંધકામ, રોડ અને કેબીન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની કામગીરી માટે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રૂ. ૧૫૫ કરોડની ગ્રાંટ આપવામાં આવી છે.
તળાવડીનું બાંધકામ, વૃક્ષ, પોઇન્ટ, પાથ વે, લેન્ડ સ્કેપિંગ, પ્લમ્બિંગ સહિતના કામો માટે અત્યાર સુધીમાં રૂ. ૭૭.૩૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડુંગર ફરતે દિવાલ બનાવવાની કામગીરી રૂ. ૫.૮૬ કરોડના ખર્ચથી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી છે. ફોર્ટવોલ રિસ્ટોરેટશનની કામગીરી માટે રૂ. ૧.૩૨ કરોડનો ખર્ચ થયો છે.
શ્રી રૂપાણીએ આ સમીક્ષા બેઠક પહેલાં ભૂજિયા ડુંગરની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા કામોનું જાતનિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થપતિઓ પાસેથી આયોજનની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
આ વેળાએ મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, પદાધિકારીઓ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, નિયતીબેન પોકાર, કેશુભાઇ પટેલ, પૂર્વ વિધાયક શ્રી કાંતિભાઇ અમૃતિયા, કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.