Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સુરત અને મુંબઇના બે પરિવારો સંસારમાંથી સંન્યાસ લેશેઃ સાબરમતી વિસ્‍તારમાં ભવ્ય દીક્ષા સમારોહ

અમદાવાદઃ અમદાવાદમાં આજે સાબરમતી વિસ્‍તારમાં યોજાયેલ ભવ્ય દીક્ષા સમારોહમાં સુરત અને મુંબઇના બે પરિવારો સંસારમાંથી સંન્યાસ લેશે. જેમાં આચાર્ય મુક્તિવલ્લભસૂરી દીક્ષાર્થીઓને દીક્ષા લેવડાવશે.

સુરતના સંજય શાહ (53 વર્ષ), તેમની પત્ની નીતા (49 વર્ષ), પુત્રી પૂજા (26 વર્ષ) અને પુત્ર દર્શીલ (24 વર્ષ) દીક્ષા ગ્રહણ કરશે. સંજય શાહ હીરાના વેપારી છે, જ્યારે તેમની પુત્રી પૂજા કંપની સેક્રેટરી છે. તો પુત્ર દર્શીલે ચાર્ટર્ડ અકાઉંટની ફાઈનલ પરીક્ષા આપી છે. દર્શીલ અને પૂજા બંને તેજસ્વી વિદ્યાર્થીઓ રહ્યા છે. આ પરિવાર મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો છે.

સંજયભાઈએ કહ્યું કે, “બે વર્ષ પહેલા દર્શીલના મિત્રએ દીક્ષા લીધી હતી. અમે લોકોએ સાબરમતીમાં યોજાયેલા તેના ચોવિહારમાં ભાગ લીધો હતો. તે બાદ દર્શીલે પણ દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે તેને સમજાવ્યો કે સંન્યાસનો માર્ગ સરળ નહીં હોય પણ તેણે સંસાર સંન્યાસી થવાનું નક્કી કરી લીધું હતું. દર્શીલે તેના સંકલ્પને સિદ્ધ કરવા માટે મોબાઈલ સહિતની તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વાપરવાનું છોડી દીધું અને સાદું જીવન જીવવા લાગ્યો.

સંજયભાઈએ વધુમાં કહ્યું કે, “દર્શીલ નિયમિત રીતે ધાર્મિક વ્યાખ્યાન સાંભળવા જતો હતો અને ઘરે આવીને તેની બહેન પૂજાને પણ જ્ઞાન આપતો. જે બાદ પૂજાએ પણ દીક્ષા લેવાનું નક્કી કરી લીધું. જ્યારે અમારા બંને બાળકોએ દીક્ષા લેવાનું નક્કી કરી લીધું ત્યારે અમને પણ જ્ઞાનના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળી.

પૂજા શાહે જણાવ્યું કે, “પ્રવચન પરથી મારા મનમાં સવાલ ઊઠ્યો કે માણસ કોના માટે જીવે છે, શેના માટે દિવસભર ભાગતો રહે છે. ભૌતિક સગવડો જીવનમાં સુખ આપી શકે ખુશી નહીં.

તો આ તરફ ધર્મેશ શાહ, પત્ની કેતુ અને 18 વર્ષીય પુત્રી મૈત્રી પણ દીક્ષા લેવાના છે. ધર્મેશભાઈ મુંબઈમાં કાપડ વેપારી છે. તેમનો મોટો પુત્ર પ્રત્યુશ 4 વર્ષ પહેલા જ દીક્ષા લઈને જૈન મુનિ બની ચૂક્યો છે અને હવે તે પૂર્ણકલશ્વિજયસૂરી તરીકે ઓળખાય છે. જ્યારે મૈત્રીએ જૈન સાધ્વી બનવાનું નક્કી કર્યું ત્યારે માતા-પિતાએ પણ તેની સાથે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.

ધર્મેશભાઈએ કહ્યું કે, “દીક્ષા લેવાની હોવાથી મેં બે વર્ષ પહેલાંથી જ મારો ધંધો ધીરે ધીરે સમેટવાનો શરૂ કર્યો હતો. અમારી ઈચ્છા આચાર્ય મુક્તિવલ્લભસૂરી પાસેથી દીક્ષા લેવાની હતી, જે આખરે પૂર્ણ થઈ રહી છે. અમારા માટે આ ગર્વની વાત છે કે અમે બધા હવે જ્ઞાનના રસ્તે ચાલી નીકળ્યા છીએ.આચાર્ય મુક્તિવલ્લભસૂરીએ કહ્યું કે, આ પરિવારોએ થોડા સમય પહેલા મારી પાસેથી દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમનું મનોબળ જોઈને હું દીક્ષા અપાવવા તૈયાર થયો.

(7:59 pm IST)