Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગોધરામાં સરકારી ક્‍વોરેન્‍ટાઇનમાં રહેલા હત્‍યાના આરોપીએ ચાદર વડે ગળેફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી

પંચમહાલ: ગોધરા ખાતે સરકારી ક્વોરેન્ટાઇનમાં આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. હત્યાંના એક આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેના સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો હતો. કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ હત્યાના આરોપીને કોરોના પરીક્ષણ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના બાદ તેણે અહી જ ગળેફાંસો ખાધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિરીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના નાની ડસાર ગામમાં બે દિવસ પહેલા એક પુત્રએ પિતાની હત્યા કરી હતી. પુત્ર પ્રવીણ પરમાર અને પુત્રવધુ વચ્ચે થયેલ બોલાચાલી અંગે પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો હતો. પ્રવીણ અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેથી મંગળવારે બોલાચાલીમાં તેના પિતા વચ્ચે પડ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ હાથની આંટી મારી પિતાનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. પિતાની હત્યા સમગ્ર મામલે કાકણપુર પોલીસ મથકે પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાઇ હતી.

પંચમહાલમા કોરોનાના કેસ પર નજર કરીએ તો, સરકારી ચોપડા પ્રમાણે કુલ 79 કેસ નોંધાયા છે.પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ યથાવ છે. કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. કાલોલના એરાલ ગામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ હોવાથી બે દિવસ પહેલા તેનુ સેમ્પલ લેવાયું હતું. આમ, પંચમહાલ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી ગઈ છે.

તો ગઈકાલે વડોદરામાં કોરોનાના કારણે વધુ બે દર્દીના મોત થયા હતા. જેમાં ગોધરામાં રહેતા 62 વર્ષીય પંકજ સોનીનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. શહેરની ગોત્રી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

(5:10 pm IST)