Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ડો.હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ વચગાળાનો અહેવાલ વિજયભાઇ રૂપાણીને સુપ્રત કર્યો

કોરોના વાયરસની સ્થિતિ બાદ રાજયમાં પુનઃનિર્માણ પગલા અને રાજકોષિય-ફિઝકલ પુનઃગઠનની ભલામણો માટે

રાજકોટ, તા. ર૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજયમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ શ્રી ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.

આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા.

૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે તેમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ શ્રી મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ શ્રી પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી શ્રી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. શ્રી એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.

આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-૧૯દ્ગક આ મહામારીને પરિણામે રાજયની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.

આ મહામારીના સંકટથી રાજયના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજયોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતીની રચના કરેલી છે.

આ ઉચ્ચસ્તરીય સમિતી રાજયમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના ઊદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂનૅં ધબકતા કરવા તથા કોવિડ-૧૯ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ કર્યો હતો.

સમિતીના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે તેમાં રાજયની રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.

એટલું જ નહિ, કોવિડ-૧૯ મહામારી પછીની ઉદભવનારી સ્થિતીમાં રાજકોષિય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.

એટલું જ નહિ, રાજયના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ - ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરી રહી છે.

આ ઉચ્ચસ્તરીય સમિતીની બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

ડો. હસમુખ અઢિયા ના અધ્યક્ષ સ્થાને રચાયેલી આ સમિતિએ પોતાનો વચગાળાનો અહેવાલ આજે આ બેઠક માં મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને સુપરત કર્યો હતો.

(3:04 pm IST)