Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વ્યારાના જેસીંગપુરામાં આંબલીના વૃક્ષ નીચે સુતેલા શખ્સની ટૂંપો દઈ હત્યાથી અરેરાટી

વ્યારા:ના જેસીંગપુરા ગામે ઘરની બહાર આંબલીના વૃક્ષ નીચે પલંગ પર સૂતેલા શખ્સની ઓઢણી વડે ટૂંપો આપી હત્યા થતાં ચકચાર મચી છે. માહિતી મુજબ વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામે સામરી ફળિામાં રહેતા અને સુરતમાં એક કંપનીમાં મજૂરી કામે જતા રાજેશભાઇ નારસીંગભાઇ ચૌધરી (ઉ.વ. ૪૨) તેની પત્ની ટીનાબેન તથા પુત્રી અને જમાઇ સાથે રહેતા હતા. તે મજુરી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા હતા. ઉનાળાની ગરમી હોવાથી તેઓ રાત્રે ઘરની બહાર આંબલીના વૃક્ષ નીચે પલંગમાં સૂતા હતા. આજે વહેલી સવારે ૫-૩૦ કલાક ેદૂધ ભરવા જવા માટે પત્ની ટીનાબેને ઉઠાડવા પલંગ પાસે આવ્યા હતા. રાજેશભાઇએ ધાબળો ઓઢેલો હોવાથી તે ખોલ્યા વગર તેમને હલાવી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. બે-ત્રણ વાર ઉઠાડવા છતાં ન ઉઠતાં પત્ની ટીનાબેને ધાબળો ખોલીને જોતાં તેમના ગળામાં ઓઢણીથી ટૂંપો આપી હત્યા કરાઇ હતી. તેમણે તરત ગામના સરપંચને જાણ કરી પોલીસને બોલાવી હતી. અને અજાણ્યા શખ્સ સામે આ ભેદી હત્યાની ફરિયાદ આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મરનાર રાજેશ ચૌધરીના કોઇ વેરી ન હતા પરંતુ તે નશાની આદતવાળો હતો પરંતુ હત્યા શા કારણે થઇ એ તો હવે પોલીસ તપાસ દરમ્યાન જ બહાર આવી શકશે. વધુ તપાસ પોસઇ એસ.જી. રાઠોડ કરી રહ્યાં છે.
 

(5:09 pm IST)