News of Thursday, 28th January 2021
અમદાવાદ, તા.૨૮: ડેસરના પિપળછટમાં ઋણાનુબંધનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા નવયુવાનની જિંદગી વીતી ગઈ હતી. વૃધ્ધાવસ્થાએ પહોંચેલા પોતાના સમાજની કન્યા મળતા ખુશીથી ઝૂમી ઉઠેલા વરરાજાએ પાંચ ગામો જમાડીને લગ્ન કરવા વાજતે ગાજતે જાન લઇ પ્રભૂતામાં પગલા માંડયા હતા, પરંતુ કુદરત ને કંઈક અલગ જ મંજૂર હતું, કન્યા લઇ પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું અને યમરાજ આવી પહોંચ્યા હતા અને નવેલી દુલ્હન લીલાને ચક્કર આવતાની સાથે ઘરમા પલંગ પર સુવડાવીને દવાખાને પહોંચે તે પહેલાં નવેલી દુલ્હનનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર ડેસર તાલુકાના પીપળછટ ગામે રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉફ્ર્ે કલાભાઇ ઉ.વર્ષ ૬૩ પશુપાલક છે ૧૦ જેટલી ગાય વાછરડા રાખી પોતાનું અને પોતાના નાનાભાઈ રામજીભાઈ જે વર્ષોથી અસ્થીર મગજ ધરાવે છે તેઓનુ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણ પોષણ કરે છે તેઓની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય તેમ તેઓ માની રહ્યા છે. છેલ્લા ચાર દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને પોતે જીદ લઇ બેઠા હતા કે જયાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું, છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની તપાસમાં હતા છતાંય કયાંય તેઓનો મેળ પડતો ન હતો. પરંતુ લોકડાઉન દરમિયાન
બન્યું એવું કે નજીકના ગામ વરસડાના તેમના સબંધી રાજુભાઈ રબારીને ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી ઉ.વર્ષ ૪૦ નજરે ચઢયા હતા.
તેઓએ કલ્યાણભાઈ રબારીને ઉપરોકત કન્યા બાબતે વિગતે વાત કરી ત્યારે થોડું પણ્ ડું કર્યા વગર તાબડતોબ જોવા માટે ઉપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલ્યાણભાઈને ગમી ગયા હતા અને તેઓની લગ્નની વાત આગળ ધપાવી હતી. કુટુંબ કબીલાની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. હિન્દુ રીતરિવાજ મુજબ બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સાંજે ચાર વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ દ્યરે થી વિદાય આપી હતી તેઓના ભાઈ ને કયાં ખબર હતી કે તેઓ પોતાની વહાલસોઇ બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે.
ચાર દાયકાથી પત્નીની રાહ જોતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ દ્યરે આવતાં તેઓની દુલ્હનને નજરે નિહાળવા ફ્ળિયાવાળા ઉપરાંત ગ્રામજનો ઉમટી પડયા હતા ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેન ને ચક્કર આવ્યા હતા.તબિયત વધુ ખરાબ થતાં કલ્યાણભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હતા તે દરમિયાન માર્ગમાં જ લીલાબેન નું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. તેઓના ભાઈને જાણ કરાતા પોતાની બહેનનો મૃતદેહ ઠાસરા ગામે લઇ જવાયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદી પાસે પરિવાર ની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો મંડપમાં બાંધેલા લીલા તોરણ હજુ તો લીલા જ હતા અને ધડીકભરની ખુશી આપી લીલાએ વિદાય લીધી હતી. આમ બન્ને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં ગામમાં પરિવર્તિત થઇ હતી.
વર્ષોથી એકલતા અનુભવતા કલ્યાણભાઈના આંગણે ઢોલ ઢબુકયા અને શહેનાઈ ગુંજી હતી, ૨૩ જાન્યુઆરી શનિવારે બપોરે પિપળછટ ગામે ભોજન સમારંભ રખાયો હતો. તેમા વાંટા, નારપૂરી, રામપુરી, જેસર, ગોપરી, અને પિપળછટના ગ્રામજનો ઉપરાંત સગા વ્હાલાઓને લગ્નનું આમંત્રણ આપી જમાડયા હતા. જયારે બીજા દિવસે સરકારી ગાઇડલાઇન મુજબ માસ્ક ધારણ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માત્ર ૫૦ જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલ્યાણભાઈની જાન ઠાસરા મુકામે રહેતા વિક્રમભાઈ રબારીની ત્યાં પહોંચી હતી.