Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મુળ લીંબડીના સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથ મામલે અંતે એક પીએસઆઇ સહિત ૩ની અટક

રાજકોટથી અમદાવાદ જતા અઢી કરોડના સોનાના પાર્સલો રસ્તામાં પડી જવાનો ચકચારી મામલોઃ સીટના અધ્યક્ષ ડીવાયએસપી કે.ટી.કામરીયાના અધ્યક્ષસ્થાનવાળી : તપાસ સમીતી દ્વારા ધડાકોઃ એસપી આર.વી.અસારી દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૪: રાજકોટથી આંગડીયા પેઢી બ્લુ ડાર્ટ મારફત  અમદાવાદ જતા અઢી કરોડના સોનાના પાર્સલ રસ્તામાં પડી જવાના મામલે શંકા પરથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા શંકા પરથી અટકમાં લઇ પુછપરછ દરમિયાન જેમનું મૃત્યુ નિપજેલ તેવા સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથના રાજયભરમાં ચકચારી મામલામાં પોસ્ટમોર્ટમ પુરાવા આધારે સાણંદના ડીવાયએસપી કે.ટી.કામરીયાના અધ્યક્ષસ્થાને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે પીએસઆઇ રાઇમા તથા હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ અને સાદીકભાઇની વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ કરી અટક કરી પુછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે તેમ અકિલા સાથેની વાતચીતમાં સાણંદના ડીવાયએસપી અને સીટના અધ્યક્ષ કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

અત્રે યાદ રહે કે ઓકટોબર માસની ૧પ તારીખે સુરૂભા ઝાલા (મૂળ નિવાસી ભોયકા-લીંબડી) હાલ અમદાવાદ રહેતા સુરૂભા ઝાલાનું એલસીબી પોલીસની કસ્ટડીમાં મૃત્યુ નિપજયું હતું. આ મૃત્યુ નિપજતા ખળભળાટ મચી ગયો હતો.

પુછપરછ દરમિયાન અધિકારી કર્મચારીઓએ  લાકડી, પટ્ટા વડે માર માર્યાનો આરોપ હતો. સામે બાજુ સ્વ.સુરૂભા ઝાલા સહીત ૪ સામે સોનાના પાર્સલ ગૂમ થયાનો આરોપ હતો.

દરમિયાન પોસ્ટમોર્ટમમાં ઇજાના નિશાન જણાતા અને પરીવારની ફરીયાદમાં પ્રાથમીક દ્રષ્ટિએ ચોક્કસ બાબતે તથ્ય જણાતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આ મામલે તપાસ કરવા અમદાવાદ રૂરલના એસપી આર.વી.અસારીને સુચવવામાં આવેલ. મામલાની ગંભીરતા સમજી એસપી આર.વી.અસારીએ આ સમગ્ર મામલાની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફત થાય તે માટે સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાના અધ્યક્ષસ્થાને સીટની રચના કરી હતી અને ત્યાર બાદ અટક કરવાની કાર્યવાહી કે.ટી.કામરીયા દ્વારા કરવામાં આવી હતી.  સમગ્ર તપાસ અંગેની નાનામાં નાની ઝીણવટભરી માહીતીથી અમદાવાદ રૂરલના એસપી આર.વી.અસારી માહીતગાર થઇ રહયા છે. જરૂરી જણાયે સીટને માર્ગદર્શન પણ આપે છે.(૪.૧)

(11:47 am IST)