Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમદાવાદના મૌલિન રાઠોડનું ઓસ્‍ટ્રેલિયામાં મોત થતા માતા-પિતાને ભારે આઘાતઃ મૃતદેહ ભારતમાં લાવવા માટે પૈસા પણ નથીઃ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવા અને ઉંઘ માટે ઇન્‍જેકશન આપવા પડે છે

અમદાવાદઃ અમદાવાદના અેક યુવકનું ઓસ્‍ટ્રેલિયામાં મોત થતા ભારે અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પાલડીમાં રહેતા મૌલિન રાઠોડના માતા-પિતા એકમાત્ર દીકરાના અવસાનના સમાચારથી આઘાતમાં છે. મૃતક મૌલિનના માતા-પિતાની હાલત એટલી ખરાબ છે કે તેમનું બીપી કંટ્રોલ કરવા અને ઊંઘ આવે તે માટે ઈન્જેક્શન આપવામાં આવે છે. પાડોશીઓએ જણાવ્યા પ્રમાણે, રાઠોડ દંપતી મંગળવાર સાંજથી ધ્રુસકે ધ્રુસકે રડે છે. મંગળવારે તેમને પોતાના 24 વર્ષીય દીકરાના મોતના સમાચાર મળ્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે, 24 વર્ષીય મૌલિન પર સોમવારે રાત્રે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના વખતે મૌલિન 19 વર્ષીય છોકરીના ઘરે હતો જેને તે એક ડેટિંગ સાઈટ દ્વારા મળ્યો હતો. હુમલા બાદ મૌલિનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં બીજા દિવસે તેનું મોત થયું હતું. મૌલિન 4 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. મૌલિનના માતા-પિતા હિરેન રાઠોડ (52 વર્ષ) અને જાગૃતિ રાઠોડ (50 વર્ષ) પાલડી ચાર રસ્તા પાસે આવેલા પ્રભવન એપાર્ટમેન્ટમાં રહે છે.

સોમવારે સાંજે રાઠોડ દંપતિને સમાચાર મળ્યા કે તેમનો દીકરો એક હુમલામાં ગંભીર રીતે ઘવાયો છે. મૌલિન સાજો થઈ જશે તે આશા સાથે તેમણે ઓસ્ટ્રેલિયા જવાના વિઝા લેવાની પ્રક્રિયા શરૂ કરી. જો કે મંગળવારે સાંજે તેમને મૌલિનના નિધનના સમાચાર મળ્યા. પાડોશી અનિષ નાણાવટીએ કહ્યું કે, “જે દિવસે મૌલિનના મોતના સમાચાર મળ્યા ત્યારથી તેઓ ઘેરા શોકમાં છે. મૌલિન સાંભળ્યા બાદ તેના માતા-પિતાએ કશું ખાધું નથી, તેઓ સતત રડ્યા કરે છે. બંનેની તબિયત પર આની અસર થઈ છે. બંનેનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા અને ઊંઘ આવે તે માટે ડોક્ટર તેમને ઈન્જેક્શન આપે છે.”

અનિષ નાણાવટીએ વધુમાં કહ્યું કે, “હિરેનભાઈએ મૌલિનને મેલબર્ન મોકલવા માટે ખૂબ મહેનત કરી હતી. ખર્ચાને પહોંચી વળવા તેમણે પોતાનો બંગલો વેચી નાખ્યો હતો. તેઓ હાલ એજ્યુકેશન અને હોમ લોનના હપ્તા ભરી રહ્યા છે. હિરેનભાઈ ફાયર સેફ્ટી મેન્ટેનન્સ અને સર્વિસના ક્ષેત્રે કાર્યરત છે. દીકરાના ઘાયલ થવાના સમાચાર મળતાં તેમણે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારીઓ આરંભી હતી પરંતુ બીજા દિવસે તેના મોતની ખબર આવી. અત્યારે રાઠોડ દંપતિની આર્થિક અને માનસિક હાલત એવી નથી કે તેઓ મેલબર્ન જઈને મૌલિનનો મૃતદેહ લઈ આવે.”

અનિષે જણાવ્યું કે, “ભારતીય અને ઓસ્ટ્રેલિયન એમ્બસીને અમે -મેલ કર્યા છે જેથી મૌલિનનો મૃતદેહ ભારત લાવવામાં મદદ મળે. મૌલિનનો મૃતદેહ ભારત લાવવા માટે 20થી 30 હજાર ડોલરનો ખર્ચ થશે, જે હિરેનભાઈને પોસાય તેમ નથી. ઓસ્ટ્રેલિયાનો ગુજરાતી સમાજ, મૌલિનના ફ્રેંડ અને સહકર્મીઓ સોશિયલ મીડિયા દ્વારા તેનો મૃતદેહ મોકલવા માટે રૂપિયા ભેગા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 6,000 ડોલર ભેગા કર્યા છે. મૌલિનનો મૃતદેહ સોમવારે ભારત આવે તેવી શક્યતા છે.”

મૌલિનના 66 વર્ષીય કાકા જયેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે, “મૌલિનના માતા-પિતા આકરા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની સરકાર તરફથી અમને મદદ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના લોકો પણ મૌલિનનો મૃતદેહ ભારત પરત મોકલાવા માટે મદદ કરી રહ્યા છે.”

(6:03 pm IST)