Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટના અરાવઇલ ગેટ પર સંભળાશે ગીરના સિંહોની ડણક

રિલાયન્સ અને અરેપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપકમે તૈયાર કરાયેલ ગીરના જંગલની પ્રતિકૃતિ સમા 'ધ ગીર' પ્રોજેકટનું લોકાર્પણ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના પરિમલભાઈ નથવાણીના હસ્તે કરાયું

જામનગર, તા. ર૭ એરપોર્ટસ એથોરીટી ઓફ ઇન્ડિયા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર 'ધ ગીર'નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ સુપ્રસિદ્ધ વન્યજીવ પ્રેમી રાજયસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટર એફર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું. ધ ગીર એશિયાઇ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેકટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ શ્રી પરેશ રાવલના હસ્તે સંયુકત રીતે એસ.વી.પી.આઇ. અમદાવાદના એરપોર્ટ ડાયરેકટર શ્રી મનોજ ગંગલની ઉપસ્થિતિમાં જૂન ર૬, ર૦૧૮ના દિવસે કરવામાં આવ્યું.

આર.આઇ.એલ. સામાજિક વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેકટ લગભગ ૧૧,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળીયાર, ચીત્તલ, અજગર વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી જ એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીર પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલોમાંથી ડોમેસ્ટીક ટર્મિનલ પર અરાઇવલ અને ડિપાર્ચર એમ બંને વિભાગમાંથી જોઇ શકાય છે. અરાઇવલ લોંજમાં રાખવામાં આવેલા ઇન્ટરએકિટવ મીડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવામાં મળતી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજને કારણે અદ્દલ ગીર જંગલનું તાદૃશ્ય વાતાવરણ ઉભું થયું છે.

શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણા લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે, પરંતુ તેની મુલાકાત લઇ શકયા હશે નહીં. અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે. એમ રાજયસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ, શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

'એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઇની પર હુમલો કરતા નથી કે કોઇને હાનિ પહોંચાડતા નથી. આ સૌંદર્યીકરણ પ્રોજેકટમાં પણ જયારે સિંહ-પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે તયારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદૃશ્ય અનુભૂતિ કરાવે છે.'  એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ શ્રી પરેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના ગીર જંગલને એરપોર્ટ પર પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની અનોખી સંકલ્પના માટે હું પરિમલભાઇ નથવાણીનો આભાર વ્યકત કરૃં છું. ભારતીય એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં પોતાના રાજયની ઓળખ અને ખાસિયતને પોતાના એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવી હોય તેવું પહેલીવાર આટલી સરસ રીતે આ ગીર પ્રોજેકટ થકી શકય બન્યું છે.

આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એરપોર્ટ ડાયરેકટર શ્રી મનોજ ગંગલે જણાવ્યું હતું કે, દેશની બહારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધોરણે એસ.વી.પી.આઇ. એરપોર્ટ, અમદાવાદના સૌંદર્યીકરણનો પ્રોજેકટ મારા હૃઘ્યની ખૂબ જ નજીક છે. સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફલાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેકટ અમદાવાદમાં કરવાની પ્રેરણા આપી. જો કે, જીવંત સિંહને લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિ તૈયાર કરાવી. મને ખાતરી છે કે ઇન્ટરએકિટવ મીડિયા ઉપકરણની સાથે સાથે આબેહૂબ પ્રતિકૃતિઓ તમામ ઉંમરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે.

એરપોર્ટ પર ધ ગીર ગુજરાતની ઓળખને પ્રતિબિંબત કરે છે, જે એશિયાટીક સિંહને કારણે છે. (૮.પ)

(2:41 pm IST)