Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ડોકટરોની કમિટિએ સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યકત કરતો અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો : હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી

રાજ્ય સરકારે સામે ચાલીને સિવિલ હોસ્પિટલની કામગીરી નિહાળવા આકસ્મિક મુલાકાત માટે હાઇકોર્ટને આપેલા આમંત્રણનો સ્વીકાર કરતી ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ તા. ૨૭ : કાયદા રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી છે.

પ્રદિપસિંહજી જાડેજાએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે નામદાર હાઈકોર્ટ દ્વારા ૨૨મી મેના રોજ સીવીલ હોસ્પિટલ અમદાવાદમાં કોવીડની સારવાર બાબતે એક હુકમ કરવામાં આવેલ હતો. આ હુકમ સીવીલ હોસ્પિટલ, અમદાવાદના એક રેસીડેન્ટ ડોકટરની નનામી અરજી અને કોઈ મેડીકલ ઓફીસરના પત્રના આધારે કરવામાં આવ્યો હતો.

આ પત્ર સોશીયલ મીડીયામાં મે મહીનાના પહેલા અઠવાડીયાથી જ ફરતો હતો. નનામી અરજીમાં રજૂ કરેલા મૂદાઓ કોવિડ સિવિલ હોસ્પિટલની સાચી વિગતો રજૂ કરતા નહોતા. જેથી રાજય સરકારે નામ.હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, વ્યાપક જનહિતમાં તાત્કાલીક આ અરજી અંગે સુનવણી કરવામાં આવે. જેથી, રાજય સરકારે લીધેલા પગલાં અને સારવારની વિગતો ઝડપથી જાહેર જનતા સમક્ષ રજુ કરી શકાય અને લોકો સમક્ષ સાચી હકિકત મુકી શકાય.

કાયદા રાજયમંત્રીએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા રજૂ થયેલ દલીલો અને પૂરાવાઓને ધ્યાને લેતા નામદાર હાઇકોર્ટ દ્વારા રાજય સરકારે કોવિડ સિવીલ હોસ્પિટલમાં ઉત્ત્।રોત્ત્।ર સુધારા માટે કરેલી કામગીરીની સકારાત્મક નોંધ લેતો એક હુકમ કરવામાં આવ્યો છે.

નામદાર હાઇકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે રેસિડેન્ટ ડોકટર કે અન્ય સ્ટાફની કોઇપણ મુશ્કેલીઓને નિવારવા માટે એક સ્વતંત્ર સમિતીની રચના કરવામાં આવે. રાજય સરકારે આ માટે રાજયના ખ્યાતનામ ડોકટરો સર્વશ્રી ડો. પંકજ શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ અને ડો. હરિશ દોષીની સમિતીની તાત્કાલિક રચના કરી છે.

વધુમાં રાજય સરકાર દ્વારા કોવિડ સિવીલ હોસ્પિટલની આકસ્મિક જાત મૂલાકાત લઇ ત્યાં ઉપલબ્ધ સગવડતાઓ અને દર્દીઓને અપાતી સુવિધાઓના નિરીક્ષણ માટે નામદાર હાઇકોર્ટને કરેલી વિનંતીને ગ્રાહય રાખી છે.

હાલ કુલ કોવિડ દર્દીઓના ૬ર ટકા જેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં ભરતી થાય છે. અહિં આ સારવાર તદ્દન મફત કરવામાં આવે છે.

કાયદામંત્રીએ જણાવ્યું કે, નનામી અરજીના આધારે નામદાર હાઇકોર્ટે કરેલા અવલોકનોના કારણે દર્દીઓમાં ગેરસમજ ઊભી થયેલ હતી. જેથી જાહેર આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને નામદાર હાઇકોર્ટ સમક્ષ સાચી અને સચોટ વિગતો જરૂરી આધાર પૂરાવા સાથે રજૂ કરવામાં આવેલ હતી.

એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અને ગર્વનમેન્ટ પ્લીડર મનીષા લવકુમાર દ્વારા માનનીય ન્યાયાધિશ જે.બી. પારડીવાલા અને શ્રી ઇલેશ વોરા સમક્ષ આ વિષયે વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. અને નામદાર હાઇકોર્ટે આજે વધુ એક ઓર્ડર આ કેસમાં કર્યો છે.

શ્રી જાડેજાએ કહ્યું કે રાજય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટને સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિવિધ સગવડતાઓની વિગત ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી હતી. સાથોસાથ સી.સી.ટીવી નેટવર્ક, મોનિટરીંગ રૂમ,હોસ્પિટલ મેનેજમેન્ટ સીસ્ટમ, નિષ્ણાત ડોકટરોની સેવાઓ અને એઇમ્સના ડિરેકટર ડો. રણદિપ ગુલેરીયાની મૂલાકાત અને તેઓના દ્વારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સારવાર બાબતે વ્યકત કરવામાં આવેલ સંતોષથી પણ વાકેફ કરવામાં આવ્યા છે.

નામદાર હાઇર્કોટને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને અગ્ર સચિવ આરોગ્ય ડો. જયંતિ રવિ દ્વારા સિવીલ હોસ્પિટલની સમયાંતરે લેવામાં આવેલ મૂલાકાત અને તેમના દ્વારા હોસ્પિટલની સગવડતાઓનું નિરીક્ષણ અને દર્દીઓની સારવાર બાબતે આપવામાં આવેલ સૂચનાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

નામદાર હાઈકોર્ટ દ્વારા કોવીડ સીવીલ હોસ્પિટલ , અમદાવાદને લગતા ૨૨ મુદ્દાના સોશીયલ મીડીયામાં ફરતા પત્રની વિવિધ બાબતો પરત્વે વિગતવાર રીપોર્ટ રજુ કરવા ત્રણ સીનીયર મેડીકલ ઓફીસર્સની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં એસ.વી.પી. હોસ્પિટલના ડો.અમી પરીખ અને ડો.અદ્વૈત ઠાકોર અને સીવીલ હોસ્પિટલના ડો.વિપીન અમીન નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પત્રમાં રજુ થયેલા તમામે તમામ ૨૨ મુદ્દાઓ ઉપર આ કમીટી દ્વારા રીપોર્ટ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ. જેના મહત્વના નિરીક્ષણો આ મુજબ છે તેની વિગતો કાયદા રાજયમંત્રીએ આપી હતી.

આ નિરીક્ષણો અનુસાર પેશન્ટ મેનેજમેન્ટ અથવા ખાતાકીય કામગીરી બાબતે મેડીસીન વિભાગના વડા સામે કોઈ લેખિત ફરીયાદ રેસીડન્ટ ડોકટરો દ્વારા કરવામાં આવેલી નથી.

હોસ્પિટલમાં આવશ્યક દવાઓની, અને કન્ઝયુમેબલ્સની કોઈ અછત જણાયેલ નથી. કોવીડ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ સ્ટોર્સમાં દરેક વોર્ડ અને આઇ.સી.યુ. માટે ૧૦ દિવસનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ રહે છે. કોવિડ હોસ્પિટલમાં કલીનીકલ અને મેડિકલ મેનેજમેન્ટ અઠવાડિક રોટેશનથી કરવામાં આવે છે.

ઇન્સ્ટીટયુશનલ પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને એક્ષપર્ટ કમિટીના સુચનોનું પણ નિયમીત રીતે અમલ કરવામાં આવે છે. ઓન ડયુટી રેસિડેન્ટ અને ડોકટરો જરૂરી ડિસ્ચાર્જ અને મરણ પ્રમાણપત્ર આપે છે.

સેમ્પલ કલેકશન માટે પણ પૂરતા પ્રમાણમાં લેબોરેટરી, ટેકનિશીયન ઉપલબ્ધ છે અને નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે છે. દરેક વોર્ડમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રીન્ટર, હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ સહિત કાર્યરત છે અને લેબોરેટરી સાથે જોડાયેલો છે.

આઇ.એન.સી. અને એમ.સી.આઇ. ગાઇડલાઇન્સ પ્રમાણે નર્સોનું પ્રમાણ જાળવવામાં આવે છે. આઇ.સી.યુ.માં ૩ બેડ દીઠ એક નર્સ, આઇસોલેશન વોર્ડમાં ૧પ બેડ માટે ૧ નર્સ ઉપલબ્ધ છે. આઇ.સી.યુ.માં પેશન્ટ મેનેજમેન્ટ માટે વધારાના કર્મચારીઓ પણ હાજર હોય છે.

સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યોગ્ય પી.પી.ઇ કીટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇન્ફેકશન ન ફેલાય તેના માટે પણ પૂરતા પગલા લેવામાં આવે છે. અને આ વાતને રેસિડેન્ટ ડોકટર એસોસિએશને પણ સ્વીકારી છે.

દર્દીઓને લાવવા લઇ જવા માટે ડેડિકેટેડ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

તમામ સ્ટાફને નિયમીતપણે તાલીમ આપવામાં આવે છે.

ભોજનને લગતી તમામ વ્યવસ્થાઓ માટે શરૂઆતથી જ ડેડિકેટેડ ડાયેટિશીયનની નિમણૂંક કરવામાં આવી છે. દર્દીઓને હોટલથી મંગાવીને ૮ વખત જમવાનું અને ચા-નાસ્તો આપવામાં આવે છે.

મૃતક દર્દીઓના મૃતદેહ તેમના સંબંધિતોને કોઇપણ જાતની અડચણ વગર સોપવા માટે મેડિકલ સુપ્રિટેન્ડેટ દ્વારા ડેડિકેટેડ ડોકટરો અને કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક સિનીયર ડોકટર સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપર મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓ.એસ.ડી. દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. બધી જગ્યાએ સી.સી.ટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું મોનિટરીંગ થાય છે. રેસિડેન્ટ ડોકટરોએ પણ સ્વીકાર્યુ છે કે સિનીયર ડોકટરો પણ દર્દીની સારવારમાં જોડાય છે અને વોર્ડનો રાઉન્ડ પણ લે છે.

કોવિડની કામગીરી સાથે જોડાયેલા ઓન ડયુટી રેસિડેન્ટ ડોકટરોને સારી હોટલમાંથી જમવાનું મંગાવીને આપવામાં આવે છે. અને કોવિડ ડયુટી પર ન હોય તેવા રેસિડેન્ટ ડોકટરોને હોસ્ટેલની મેસમાં વિનામૂલ્યે જમવાનું અપાય છે.

મેડીશીન, એનેસ્થીશીયા, ઇ.એન.ટી, ફેફસા અને ઇમજન્સી મેડિસીનના રેસિડેન્સ ડોકટરો આઇ.સી.યુ. જેવા ક્રીટીકલ એરિયામાં રાઉન્ડ ધી કલોક ફરજ બજાવે છે અને તેમને નર્સીગ કે કલાસ ૪ સાથે કોઇ સંકલન કરવાનું રહેતું નથી.

શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે ગુજરાત હાઇર્કોટે રાજય સરકારે રજૂ કરેલી આ બધી જ હકિકતોની સકારાત્મક નોંધ લીધી છે.

(11:23 am IST)