Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જામનગરથી લગ્નમાં હાજરી આપીને પરત ફરતા બારડોલીના મિસ્ત્રી પરિવારને અકસ્માત નડ્યોઃ માતા-પુત્રના મોત

વડોદરાઃ વડોદરા નજીક આજે વહેલી સવારે થયેલા એક અકસ્માતમાં માતા અને પુત્રનાં મોત થયા છે, તેમજ છ લોકોને ઈજા પહોંચી છે. આજે વહેલી સવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8 પર કપુરાઇ બ્રિજ પાસે ટ્રક પાછળ એક કાર ઘૂસી જતાં કારમાં સવાર માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે મિસ્ત્રી પરિવાર જામનગર ખાતે લગ્નમાં હાજરી આપીને બારડોલી પરત ફરી રહ્યો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે બારડોલી શહેરના સોમનાથ નગર સોસાયટીમાં રહેતા તુષારભાઈ તેમની બહેન, બે સાળા અને તેમના સાસુના સાથે કાર લઈને 20મી એપ્રિલના રોજ જામનગર ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ આજે વહેલી સવારે 4:30 વાગ્યે જામનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વડોદરાના નજીક નેશનલ હાઇવે-8 પર કપુરાઇ બ્રિજ પાસે બંધ પડેલા ટ્રેલમાં તેમની કાર ઘૂસી ગઈ હતી. કાર તુષારભાઈનો સાળો ઉમેશ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં ઉમેશભાઈ અને તેમના માતા રંજનબેનનું મોત થયું હતું.

અકસ્માત થયો ત્યારે કારમાં સવાર અન્ય લોકો ઊંઘી રહ્યા હતા. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. વહેલી સવારે થયેલા અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડ્યા હતા અને કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

(6:11 pm IST)