Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આઇટીઆઇ અને નવા મકાન-વર્કશોપ માટે કુલ ૨૬૪ કરોડ

શ્રમ અને રોજગાર માટે ૧૪૬૧ કરોડની જોગવાઈ : એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ એક લાખ એપ્રેન્ટિસો લેવાશે

અમદાવાદ, તા.૨૬  : નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૧૪૬૧ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું જણાવાયું હતું.  જેમાં રાજયમાં આઇટીઆઇ, નવા મકાનો, વર્કશોપ , થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ ૨૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. મખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.૯૨ કરોડની જોગવાઈ કરાઇ છે. ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ કરાઇ છે.

       ખાસ કરીને યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરુ કરવામા આવ્યો છે . આ પ્રોજેકટમાં રાજયની કુલ ૩૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રૂ.૩૩ કરોડની જોગવાઈ કરાઇ છે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.૩૦ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટના અંદાજે ૧ , ૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા - આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે , જેના કારણે કામદારોને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે .

             આ સહાય આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ કરાઇ છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ.૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે, હવે યુ-વીન કાર્ડધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૩૫ કરોડની જોગવાઇ કરાઇ છે. ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે અંતર્ગત વધુ ૧૬ આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂ.૨૫ કરોડની જોગવાઈ કરાઇ છે. બાંઘકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ.૭૫૦૦ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ.૫,૦૦૦ની સહાય આપવામાં આવશે. આમ , મહિલા , બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવામાં આવશે જે માટે કુલ રૂ.૬ કરોડની જોગવાઇ કરાઇ છે. બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેન્કમાંથી લીધેલ લોન ઉપર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

(10:17 pm IST)