Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પતિની ફરિયાદઃ પત્નિ સાથે રહેતી નથી છતા બે બાળકોને જન્મ આપ્યોઃ માંગ્યા છુટાછેડા

હાઇકોર્ટે મહિલાના બે બાળકોના (DNA) ટેસ્ટ લેવા આદેશ આપ્યો

અમદાવાદ, તા.૨૬: બાળકોનો પિતા કોણ છે તે વિવાદને ઉકેલવા માટે ગુજરાત હાઈકોર્ટે કચ્છ જિલ્લાની એક મહિલાના બે પુત્રોનો DNA ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. અરજી કરનાર પુરુષનો દાવો છે કે આ પુત્રો તેના નથી. પત્નિ બેવફા હોવાની આશંકાએ પતિ તેને છૂટાછેડા આપવા માંગે છે. પતિનું કહેવું છે કે તે સાથે ન રહેતા હોવા  છતાંય ૨૦૧૦ અને ૨૦૧૩માં મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. તેણે દાવો કર્યો કે DNA ટેસ્ટ પુરવાર કરી દેશે કે તે આ બાળકોનો પિતા નથી. આમ કરવાથી મહિલાના લગ્નેત્તર સંબંધ પણ પુરવાર કરી શકાશે.

પતિએ ગાંધીધામ કોર્ટમાં પત્નિના બાળકોનો ટેસ્ટ કરાવવાની અરજી કરી હતી પરંતુ તેની અરજી ડિસેમ્બર ૨૦૧૮માં રિજેકટ કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ કોર્ટમાં પતિની છૂટાછેડા માટેની અરજી હજુ પેન્ડિંગ છે. તેણે એડવોકેટ મેહુલ મહેતાના માધ્યમથી હાઈ કોર્ટમાં ધા નાંખી હતી અને બાળકોના DNA ટેસ્ટની માંગ કરી હતી. પત્નિએ પતિની માંગ સામે વાંધો ઊઠાવ્યો હતો.

સુનવણી પછી જજ એ.પી ઠાકરે મહિલાને બાળકોને ભૂજ સિવિલ હોસ્પિટલમાં મોકલી બ્લડ સેમ્પલ આપવાની સૂચના આપી હતી. તે FSL, ગાંધીનગરમાં DNA ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. કોર્ટે કહ્યું કે પીટિશનર તેનું બ્લડ સેમ્પલ પણ બંને પાર્ટી નક્કી કરે એ જ દિવસે આપશે. જો કે હાઈ કોર્ટે મહિલાને હાઈ કોર્ટનો ઓર્ડર નજરઅંદાજ કરવાની છૂટ આપી છે. જો તે બાળકને સાયન્ટિફિક ટેસ્ટ માટે નહિ મોકલે તો મહિલા ખોટી છે એવું માની લેવાશે. હાઈકોર્ટે જણાવ્યું, 'જો તે કોર્ટનો આદેશ ન માને તો ટ્રાયલ કોર્ટે જે આક્ષેપો નિશ્ચિત કર્યા છે તે સાચા માની લેવાશે.'

હાઈકોર્ટે પતિને ટેસ્ટના ખર્ચ ઉપરાંત રૂ. ૧ લાખ ડિપોઝિટ કરવા આદેશ આપ્યો છે. જો તે જ બાળકોનો પિતા હોવાનું જાણવા મળશે તો આ રકમ તેણે ગુમાવી પડશે. જો તેનો દાવો સાચો પડયો તો રકમ પાછી મળી જશે.

(1:16 pm IST)