Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સાસરિયાના ત્રાસ બાદ પતિએ છૂટાછેડા આપવાનું કહેતા પરણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરણેલી યુવતીને ચાર મહિના સારી રીતે રાખ્યા બાદ સાસરિયા ત્રાસ આપવા લાગ્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીએ સાસરિયાના ત્રાસના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લગ્ન કરી સાસરે ગયેલી પરિણીતાને સાસુ વારવાર કહેતી જો બંગલામાં રહેવું હોય તો એટલું કરિયાવર લાવવું પડે અને તેને માર મારતી હતી. જેથી કંટાળેલી પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવતીના લગ્ન 2020માં થયા હતા. જો કે, લગ્નના ચાર મહીના તો રાજીવ અને તેના પરિવારે ખૂબ સારી રીતે રાખી, પણ ત્યાર બાદ રોજ મેણા મારવામાં આવતા, ‘તને કશું આવડતું નથી’ કહીને માર મારવામાં આવતો હતો. નિશાની સાસુએ એક દિવસ તેને ધમકાવતા કહ્યું કે, જો તારે બંગલામાં રહેવું હોય તો, કરિયાવર લાવવું પડે અને પછી બધા નિશા પર તૂટી પડ્યા હતા. અસહ્ય માર ખાધા બાદ નિશાએ આ વાત રાજીવને કરી તો રાજીવ પણ તેને મારવા લાગ્યો અને નિશાને ઢસડીને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. આ સમગ્ર બનાવ બાદ નિશા માતા પિતાની સાથે રહેતી હતી.

એક દિવસ પરિણીતાએ રાજીવને ફોન કર્યો અને તે કંઈ કહે તે પહેલાં જ રાજીવે તેણીને કહી દીધું કે, મારે તને છૂટાછેડા આપવા છે. પોતાની ઝિંદગી બરબાદ થઈ ગઈ હોવાની વાતે ચકરાવે ચડેલી પરિણીતાએ ઘરમાં રહેલી ફીનાઇલની બોટલ ગટગટાવી અને પોતાનું જીવન ટુકવવા પ્રયાસ કર્યો હતો. ફીનાઇલ પી લેતા તે નીચે પડી હતી. જેથી પરિવારના સભ્યો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ બનાવ બાદ કૃષ્ણ નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(8:45 pm IST)