Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

એન્ટીજન ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ૬%થી ઘટીને ૦.૭% થયો

કોરોના સંક્રમણ ઘટ્યું

અમદાવાદ, તા. ૨૬ : લોકડાઉન ઉઠાવાયું ત્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ કે જે પોતાના કામના કારણે ઘણા લોકોના સંપર્કમાં આવે છે તેમના બે વખત કોવિડ એન્ટીજન ટેસ્ટ કર્યા છે. આ લોકોમાં દુકાનદારો, બેંક કર્મચારીઓ, ફેક્ટરી વર્કર્સ અને ફેરિયાઓનો સમાવેશ થાય છે. AMCનું માનીએ તો આ લોકોમાં કોવિડ પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. ૩૦ જૂન સુધીમાં એન્ટીજન ટેસ્ટનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો જેમાં પોઝિટિવિટી દર ૬ ટકા હતો. ૧ જુલાઈથી શરૂ થયેલા ટેસ્ટના બીજા રાઉન્ડમાં આ દર ઘટીને ૦.૭ ટકા થયો છે.

પહેલા રાઉન્ડમાં ૧૨,૨૦૬ એન્ટીજન ટેસ્ટ કરાયા જ્યારે બીજા રાઉન્ડમાં ૨૪,૪૨૨. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક્ટિવ સર્વેલન્સના ભાગરૂપે RT-PCR ટેસ્ટ (વાયરલ લોડ જાણવા (જે ટ્રાન્સમિશનની માહિતી માટેનું મહત્વનું પરિબળ)) કરવામાં આવ્યા નથી. એન્ટીજન ટેસ્ટ પરથી વ્યક્તિગત વાયરલ લોડ જાણી શકાતો નથી.

AMCના સીનિયર અધિકારીએ કહ્યું, 'RT-PCR ટેસ્ટ કિટ એન્ટીજન ટેસ્ટ કરતાં ૬ ગણી મોંઘી છે પરંતુ અમને NIV દ્વારા રાજ્ય સરકાર પૂરી પાડે છે. AMC આનો ખર્ચ ઉઠાવતી નથી. અમે RT-PCR ટેસ્ટ ત્યારે જ કરીએ છીએ જ્યારે દર્દી દવાખાને આવે છે, જ્યારે ખાનગી લેબમાં આ ટેસ્ટ રૂપિયા ખર્ચીને કરાવવો પડે છે. જર્મની અથવા સાઉથ કોરિયામાં બનેલી એન્ટીજન કિટ દ્વારા થતો ટેસ્ટ AMC કરે છે.'

AMCના અધિકારીએ કહ્યું, 'શહેરમાં RT-PCR ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ૩૦ ટકા હતો ત્યારે ફેરિયાઓના સર્વેલન્સનો પહેલો રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. અમે બીજો રાઉન્ડ ૧ જુલાઈથી શરૂ કર્યો છે. કોવિડ મેનેજમેન્ટની અસરકારક રણનીતિના કારણે પોઝિટિવિટી રેટ ૫%થી નીચે આવી ગયો છે.'

(11:30 am IST)