Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજને બારોબાર વેંચી મારવાના રાજયવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૪૯ કાળાબજારીયા સામે ગુન્હો નોંધ્યો : ૮ ની ધરપકડ

અમદાવાદ, તા. ર૬ : ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર વેચી મારીને રોકડી કરવાનો રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૯ કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીઓની ધરપકડ કરી છે, પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ સીપીયુ સહિત રૂપિયા ૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીઓ સસ્તા અનાજના દુકાનદારો તેમજ વચેટિયાઓ સાથે મળી સસ્તા અનાજની દુકાનમાં જે રેશનકાર્ડ ધારકો મહિને અનાજ ખરીદ કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામે આર્થિક ફાયદો મેળવવા ખોટા ઓન-લાઇન બીલો બનાવવા આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું અને ખોટા ઓનલાઇન બીલો બનાવ્યા હતા.

જેમાં રેશનકાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આંગળાની છાપો ના ડેટા જેવા સર્વર સોફ્ટવેર બનાવી તેમાં આ ડેટા કોપી કરી રાખી તેનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિને રાશન ખરીદ ન કરેલ હોય તે રાશન કાર્ડ ધારક ના નામ ઉપર ખોટા બિલો બનાવડાવી સાચા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૯ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે જેમાં આનંદ ઠક્કર તેમજ રફિકભાઈ મહેસાણીયા તથા જાવેદ રંગરેજ સહિત ૪૯ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ૨૦ લોકો રેશનકાર્ડ ધારક સંચાલક હોવાનું બહાર આવ્યું છે.

(3:53 pm IST)