Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે ફરી એક વાર કેન્‍દ્રની ટીમ ગુજરાતની મુલાકાતેઃ કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ અપાતા લવ અગ્રવાલ ભડક્‍યાઃ એક વ્‍યકિત સરખો જવાબ આપો, મારો સમય ન બગાડો તેમ કહી દીધુ

અમદાવાદ: રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કહેરને પગલે ફરી એકવાર કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ તથા એકેડેમિક એક્સપર્ટ ડૉક્ટર આજે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કોરોનાના કહેર અને તેની સામે સુવિધા અને સાવચેતીના કેવા પગલાં લીધેલા છે તે અંગે સમીક્ષા કરી હતી.

આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી. સયુંક્ત સચિવ લવ અગ્રવાલનો ગોતા અને ઘાટલોડિયા બંને સ્થળે એક જ સવાલ કર્યો હતો. શું આ રથ કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉભો છે ? જો આ કન્ટેઈનમેન્ટ ઝોન નથી તો કેમ ધનવંતરી રથ ઉભો રાખવામાં આવે છે? ધનવંતરી રથ કોરોના માટે શું કાર્ય કરી રહ્યું છે? રથમાં રિપોર્ટ નથી થતા તો કોરોનાના રિપોર્ટ ક્યાં થાય છે? શું ધનવંતરી રથ મારફતે સેમ્પલ કલેક્ટ કરાય છે?

 કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતા અને કહ્યું હતું કે એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું.

કેન્દ્રીય ટીમ કોર્પોરેશનના જવાબથી અતુષ્ટ જણાઇ હતી. ચોક્કસ જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી હતી. ત્રણ અધિકારીઓ અલગ અલગ જવાબ આપતા સયુંક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા હતા. લવ અગ્રવાલે કહ્યું હતું કે કોઈ એક ડેટા કોઈ એક વ્યક્તિ આપે. કોર્પોરેશનના અધિકારીઓ જવાબ ન આપી શક્યા તો મીડિયાને દૂર કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. અત્યારે આ ટીમ વિષ્ણુકુંજ સોસાયટી, સિવિલ હોસ્પિટલની સામે, શાહીબાગ પહોંચી છે.

આ મુલાકાત બાદ લક્ષ્મણ ગઢનો ઢેકરે - ઘાટલોડિયા જશે પછી કઠવાડાની મુલાકાત લેશે. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.

(4:55 pm IST)