Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અમદાવાદના રાજપુર ગામમાં વયોવૃદ્ધ મહિલા પોતાના ઘરમાં ૪૦૦ જેટલા ચામાચિડિયા વચ્‍ચે રહે છેઃ નિપાહ વાઇરસનો જરા પણ ભય નથી

મહેસાણાઃ અમદાવાદથી 50 કિમી દૂર આવેલ ગામ રાજપુરમાં 2 રુમના મકાનમાં રહેતા શાંતાબેન પ્રજાપતિ(74)ના ઘરમાં 400 જેટલા ચામાચિડિયા રહે છે. ગામ લોકો તેમનેચામાચિડિયવાળા બાતરીકે ઓળખે છે.

શાંતાબેને કહ્યું કે, ‘હા, મે નિપાહ વિશે સાંભળ્યું છે. પરંતુ મને જરા પણ ડર નથી. હું અહીં દાયકાથી આ ચામાચિડિયા સાથે રહું છું અને તેઓ હવે તો મારા પરિવાર જેવા છે. તેઓ આરામથી રહી શકે તે માટે મે મારા ઘરમાં સુવાનું અને રસોઈ બનાવવાનું પાછળના વાડામાં શિફ્ટ કરી નાખ્યું છે. હવે તો ઘરમાં ફક્ત થોડીઘણી વસ્તુઓ જ મારી છે.

શાંતાબેનના ઘરમાં પ્રવેશો એટલે દરેક દિવાલ અને છત પર તમને ચામાચિડિયાની કોલોની જ વસેલી જોવા મળે. તેમના કહેવા મુજબ લગભગ એકાદ દાયકા પહેલા ચામાચિડિયાના એક પરિવારે અહીં મારા ઘરની દિવાલ પર રહેવાનું શરું કર્યું. શરુઆતમાં તો શાંતાબેન તેમનાથી ડરતા હતા. નિષ્ણાંતોએ આ ચામાચિડિયાને ગ્રેટર માઉસ ટેઇલ્ડ પ્રજાતીના હોવાનું કહ્યું છે. જેઓ રાત આખી બહાર ઉડે છે અને સવારે ફરી ઘરે આવીને સુઈ જાય છે. જોકે તેમના દ્વારા ઘરને ઘણું જ ગંદુ કરવામાં આવતું હતું. પરંતુ શાંતાબને પાસે ઘરે રહેનાર કોઈ નહોતું. કેમ કે તેમની ત્રણેય દીકરીઓના મેરેજ થઈ ગયા છે અને દીકરો મુંબઈ રહે છે.

શાંતાબેનના 30 વર્ષના હતા ત્યારે જ તેમના પતિ તો ઇલેક્ટ્રિક્ટ શોકના કારણે મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમણે ખેત મજૂરી કરીને ચારેય બાળકોને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા છે. ચામાચિડિયા દ્વારા કરવામાં આવતી ગંદકીને સાફ કરવા માટે તેઓ દિવસમાં બેવાર લીમડા અને કપૂરનો ધુમાડો કરે છે અને પછી તે ગંદકીને સાફ કરે છે. તેઓ કહે છે કે પહેલા આજુબાજુના કેટલાક ઘરોમાં પણ ચમાચિડિયા રહેતા હતા પરંતુ તેમણે કેમિકલનો છંટકાવ કરીને તેમને ભગાવી દીધા હતા.જોકે હું આવું કરી શકું નહીં. હું કોણ છું જે તેમનું ભાગ્ય નક્કી કરે. જ્યાં સુધી તેમને અન્નજળ પાણી અહીં લખ્યા હશે ત્યાં સુધી તેઓ રહેશે. બાકી હું તો મારા મૃત્યુ સુધી તેમનાથી અલગ થવાની નથી. તેમના આ ચામાચિડિયા પ્રેમ પર 2015માં દિલ્હીના વિદ્યાર્થીઓએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી.

રાજપુર ગામના સરપંચ મદિના બીબી સીપાઈ કહે છે કે, ‘શાંતાબેનનો ચામાચિડિયા પ્રત્યેનો આ લગાવ ખરેખર આશ્ચર્યજનક છે કેમ કે સામાન્ય રીતે લોકો તેમનાથી ડરતા હોય છે અને તેમને અશુભ પ્રાણી ગણતા હોય છે. ગામના કેટલાક લોકોએ તેમને ચામાચિડિયા મુક્ત ઘર કરવા માટે પણ સમજાવ્યા હતા અને પોતે મદદ કરવાની ઓફર પણ કરી હતી. જોકે શાંતાબેન નહોતા માન્યા. હવે તો ગામવાળા તેમને શાંતાબેન ઓછા ચામાચિડિયાવાળા બા તરીકે વધુ ઓળખે છે.

જ્યારે શાંતાબેન કહે છે કે નિષ્ણાંતો મુજબ નિપાહ વાયરસ ખાસ પ્રકારના ફ્રુટ ચામાચિડિયાના કારણે ફેલાય છે. જ્યારે માઉસ ટેઇલ્ડ ચામાચિડિયા અને બીજા ચામાચિડિયા દ્વારા આ રોગ ફેલાતો નથી.’ (ટાઈમ્સ ન્યુઝ નેટવર્કમાંથી સાભાર)

(5:20 pm IST)