Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બટાટા કાઢવા માટે જઇ રહેલ મજૂર પરિવારને સાબરકાંઠામાં અકસ્માત નડ્યોઃ સાત વ્‍યક્તિઓના મોત

ફોટોઃ સાબરકાંઠા જીપ-ટ્રક અેક્સીડન્ટ

અમદાવાદઃ સાબરકાંઠામાં મજૂર પરિવારને અકસ્માત નડતા અેક સાથે સાત વ્‍યક્તિના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્‍માતમાં ૨૧ વ્‍યક્તિઓને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાના વિજયનગરના અંતરસુબા બીએડ કોલેજ પાસે કુંડલા ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ત્રણના મોત તો અકસ્માત સ્થળે જ થયા હતા જ્યારે 21 વ્યક્તિઓ ઘાયલ થયા છે.અન્ય ઘાયલના મોત ખેડબ્રહ્માની હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા.

અકસ્માત એટલો કરૂણ હતો કે એક વ્યક્તિ તો જીપ અને ટ્રકની વચ્ચે ફસાઇ ગઇ હતી અને મોતને ભેટી હતી.

મળતી માહિતી મુજબ આ અકસ્માત જીપ અને રેતી ભરવા જતી ટ્રક વચ્ચે સર્જાયો હતો. જીપ અને ટ્રક આમને સામને આવી જતાં આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ઘાયલોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.એક્સિડન્ટમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે મૃત્યુ આંક વધી શકે છે.

અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ છે. તેઓ સવારે ઘરેથી નીકળીને ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.

(4:40 pm IST)