Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નડિયાદના પીપલગની શાકમાર્કેટ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું સારવાર દરમ્યાન મોત

નડિયાદ: શહેરના પીપલગ મોટી શાકમાર્કેટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે અન્ય એક ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાના પાદરાના અક્ષર હાઇટસમાં રહેતા ઘનશ્યામભાઇ ગાંઘી શાકભાજીનો વેપાર કરતા હતા. તેઓ નડિયાદના પીપલગ મોટી શાકમાર્કેટથી શાક લાવી તેનું વેચાણ વડોદરા ખાતે કરતા હતા.ગત તા.૨૨-૧૨-૨૦ ના રોજ બપોરના સમયે ઘનશ્યામભાઇ શાક લેવા માટે નડિયાદ પીપલગ મોટી શાકમાર્કેટ આવ્યા હતા.

પીપલગ શાકમાર્કેટનું કામ પતાવી સામે આવેલ નેશનલ હાઇવે નં-૪૮ અમદાવાદ તરફનો રોડ ક્રોસ કરતા હતા તે સમયે વડોદરા તરફથી આવતા એક એક્ટિવા ચાલકે પોતાનુ એક્ટિવા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘનશ્યામભાઇ  ગાંઘીને અડફેટ મારી હતી.જેથી તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી જ્યારે એક્ટિવા ચાલકને પણ શરીરે ઇજાઓ પહોચતા બંને વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બાદ વધુ સારવાર અર્થે બંને વ્યક્તિઓને વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના ડૉકટરે ઘનશ્યામભાઇને મૃત જાહેર કર્યા હતા.

(5:03 pm IST)