Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

દિવાળી પછી કોરોનાના કેસ વધે નહિ તો પ્રસંગો, ધંધા-રોજગારમાં વધુ છૂટ

સરકાર રાત્રિ કરફયુ હટાવવાનું પણ વિચારશેઃ તહેવારોની ભીડની સંભવિત અસર પર આધારઃ હાલ કોરોના નિયંત્રણમાં

રાજકોટ તા. રપ :.. રાજયમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે મૂકવામાં આવેલા નિયંત્રણોમાંથી ક્રમશઃ છૂટકારો મળે તેવા એંધાણ છે. રસીકરણની સારી અસર જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. તહેવારોની ઉજવણી પછી કોરોનાના કેસ વધે નહિ તો સરકાર માસ્ક જેવા નિયમો યથાવત રાખશે પણ રાત્રિ કરફયુ જેવા નિયંત્રણોમાં મહદઅંશે અથવા સંપૂર્ણ છૂટછાટ આપવા વિચારશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે.

હાલ લગ્ન પ્રસંગોમાં ૪૦૦ માણસો સુધી એકત્ર કરવાની છૂટ છે. માસ્ક ન પહેરનારને રૂ. પ૦૦ દંડનો નિયમ અમલમાં છે. રાજકોટ સહિતના ૮ મોટા શહેરોમાં દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ છે. આ શહેરોમાં રાત્રે ૧ર થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ છે. હાલ દરરોજ સરેરાશ કોરોનાના માત્ર ૧પ થી ર૦ કેસ આવે છે. એકંદરે કોરોના નિયંત્રણમાં છે. ધો. ૬ થી ઉપરના ધોરણમાં વર્ગ શિક્ષણ ચાલુ છે. સરકારી આંકડા મુજબ રાજયમાં અત્યારે માત્ર ૧૬૪ એલ્ટીવ કેસ છે.

નવરાત્રિમાં ઘણી છૂટ આપેલ પણ સદ્નસીબે કોરોનાના કેસમાં કોઇ નોંધપાત્ર ઉછાળો નથી. કોરોનાના કારણે છૂટા - છવાયા મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયુ નથી. હવે દિવાળીના તહેવારો પછી શું અસર આવે છે ? તેના પર સરકારની નજરે છે. જો કોરોનાની સ્થિતિ છે એનાથી બગડે નહિ તો સરકાર ધો. ૧ થી પ નું વર્ગ શિક્ષણ શરૂ કરવા ઉપરાંત કરફર્યુ અને ધંધા રોજગારના સમયમાં તેમજ પ્રસંગોમાં આમંત્રિતોની સંખ્યામાં ધરખમ અથવા સંપૂર્ણ છૂટછાટ આપવા માંગે છે તેમ સરકારી સુત્રો જણાવે છે.

(4:15 pm IST)