Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાજયના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે- ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનશે

અમદાવાદ :ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયેલ છે. 

મંત્રીએ ઉમેર્યુ કે,બિન હથિયારી ASI ને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને ૧૧ મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે. 

 ગુન્હાની તપાસ, તેને લગતા સાધનીક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાંતથા નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં PSI ની ભૂમિકા ચાવીરૂપ હોયછે. વધુમાં PSI ની સેવાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખુબજ મહત્વની બને છે.

 આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે.  

(7:11 pm IST)