Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અમદાવાદમાં પિતરાઇ ભાઇ પાસેના શ્વાનને સાચવવા જતી સગીરાના એકલતાનો લાભ લઇને પિતરાઇએ દુષ્‍કર્મ આચરીને સગર્ભા કરીઃ મૃત બાળકને જન્‍મ આપ્‍યો

દુષ્‍કર્મ આચરનાર ભાઇ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાનને સાચવવા માટે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ સગીરાના મોત બાદ પરિવારે આ મામલે કોઇને જાણ કરી ન કરી હોવાથી હોસ્પિટલમાં લઇ ગયા બાદ સમગ્ર કેસ સામે આવ્યો હતો. એટલું જ નહીં સગીરાની  ડિલીવરી સમયે મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું. આ મામલે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. જેમાં બળાત્કારી પિતરાઇ ભાઇ જ નિકળ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરાને પિતા નહી હોવાથી માતા સાથે એકલા રહેતા હતા. અને પિત્તરાઇ ભાઇ પાસે શ્વાન હોવાથી સગીરા તેને સાચવવા માટે જતી હતી. ત્યારે એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે  ગત અઠવાડિયે સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તે 9 મહિના ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ડિલીવરી થઇ હતી અને મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ અચાનક સગીરાએ પણ દમ તોડી દીધો હતો. હાલમાં ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે નવ મહિના સુધી સગીરાની પ્રેગનન્સી અંગે કેમ કોઇને કંઇ જાણ ન થઇ તે મુદ્દે હજુ પોલીસ તપાસ કરી રહી છે.

(5:09 pm IST)