Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ગુજરાતમાં દુષ્કાળનું જોખમઃ રાજય સરકાર વ્હારે આવેઃ પરેશ ધાનાણી

વાવાઝોડા બાદ વરસાદ ન વરસતા ખેડૂતોનો ઉભો પાક મુરઝાયોઃ નુકશાનીનું ૧૦૦% વળતર ચુકવવા વિધાનસભા વિરોધ પક્ષના નેતાની માંગણી

રાજકોટ, તા., રપઃ ગુજરાત વરસાદ ખેંચાતા રાજય સરકાર તાત્કાલીક ખેડુતોની વ્હારે આવે તેવી માંગણી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને કરી છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, ચોમાસાની અડધી સીઝન વીતી ગઇ હોવા છતાં રાજયમાં ખૂબ જ અપૂરતો વરસાદ થયેલ છે. સરકારમાં નોંધાયેલ આંકડા મુજબ તા. રપ-૮-ર૦ર૧ની સ્થિતિએ સરેરાશ કચ્છ જિલ્લામાં ૧૪૦ મીમી (૩૧.૭૪%) ઉત્તર ગુજરાતમાં રર૯ મીમી (૩૧.૯૮%), મધ્ય ગુજરાતમાં ૩૦૬ મીમી (૩૭.૯૪%), સૌરાષ્ટ્રમાં ર૬૦ મીમી (૩૭.૧૦%) તથા દક્ષિણ ગુજરાતમાં ૭પ૧ મીમી (પ૧.૪૧%) વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર રાજયમાં સરેરાશ વરસાદ ૩પ૦.૭૧ મીમી (૪૧.૭પ%) થયો છે. રાજયમાં ૮૦% વરસાદની ઘટવાળા ર૦ તાલુકા, ૬૦% ઘટવાળા ૧ર૯ તાલુકા, ૪૦% ઘટવાળા ૮૧ તાલુકા અને ર૦% ઘટવાળા ર૧ તાલુકા છે, જે અંગેના પત્રક-૧ થી ૪ આ સાથે સામેલ છે. રાજયમાં ફકત દક્ષિણ ગુજરાતમાં પ૦%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે, પોણા ભાગના રાજયોમાં ૩પ% અને તેથી ઓછો વરસાદ નોંધાયો છે. આજે સમગ્ર રાજયમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઇ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં વરસાદ ખૂબ જ અપૂરતો થયેલ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોરોના મહામારીમાં સહન કરેલ માર બાદ તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને પારવાર નુકસાન પહોંચાડયું હતું. જેનાથી આપ વિદિત છો જ. ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાક અને બાગાયતી પાકો સંપૂર્ણ નાશ પામેલ. તૌકતે વાવાઝોડાના કારણે વીજ ક્ષેત્રે થયેલ તારાજીના બાદ પણ આ જિલ્લાઓમાં મોટાભાગના ખેતરોમાં ખેતીવિષયક વીજ પુરવઠો પુનઃ ચાલુ થઇ શકેલ નથી. આજે જયારે ચોમાસાની અડધી સીઝન બાદ પણ પૂરતો વરસાદ થયો નથી ત્યારે ખેડૂતોના કૂવાના તળમાં પાણી હોવા છતાં વીજળીના અભાવે આ ખેડૂતો સિંચાઇ કરી શકતા નથી અને પાક બચાવી શકતા નથી તેમ પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.

કોરોના અને તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિઓ બાદ ખેડૂત થોડો ઘણો બેઠો થયેલ અને ચોમાસાની શરૂઆતમાં પ્રથમ સારો વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદીને વાવેતર કરેલ. આજે ચોમાસાની અડધી સીઝન બાદ પણ વરસાદ નહીં થતાં ખેડૂતોનો પાક મુરઝાઇ રહ્યો છે અને ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખાતર, દવા વગેરેનો ખર્ચ પણ માથે પડયો છે.

કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોના થતા પાક નુકસાન માટે રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા. ૧૦-૮-ર૦ર૦ના ઠરાવથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. સદર યોજનામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે તાલુકામાં ચાલુ સીઝનનો ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા ૩૧મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે. રાજયમાં હાલ અનાવૃષ્ટિનું જોખમ ઉભું થયું છે તેવા સંજોગોમાં રાજય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોની મદદે તાત્કાલિક આવવું જોઇએ. તેવી માંગણી પરેશભાઇ ધાનાણીએ કરી છે.

રાજયના ખેડુતોને અનાવૃષ્ટિની કુદરતી આપતીથી બચાવવા માટે રાજય સરકારે રાજયમાં જે ખેડુતોના કુવામાં પાણીના તળ ઉંડા છે તેવા ખેડુતોને સતત ૧૪ કલાક ખેતી વિષયક વીજળી પુરી પાડવી જેથી ખેડુત પોતાનો ઉભો પાક બચાવી શકે. ખેડુતોનો ઉભો પાક પાણીના અભાવે મુરઝાઇ રહયો છે તેનો તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને નુકશાનીનું ૧૦૦ ટકા વળતર ચુકવવું. તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત જીલ્લાઓમાં ખેત વિષયક વીજ પુરવઠો પુનઃ સ્થાપીત કરવો. પશુઓ માટે પુરતા ઘાસચારાની વ્યવસ્થા કરવી. રાજયના જે વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી હોય ત્યાં નાગરીકો અને પશુઓ માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી વગેરે માંગ કરી છે.

સમગ્ર રાજયની પ્રજા હાલ જયારે કોરોના તૌકતે વાવાઝોડાની કુદરતી આપતીઓ બાદ અનાવૃષ્ટિની કુદરતી આપતીનો સામનો કરી રહી છે તેવા સમયે રાજય સરકારે ખાસ કરીને ખેડુ઼તો પશુપાલકોની વ્હારે આવી. અનાવૃષ્ટિની કુદરતી આપતીથી બચાવવા માટે અછત મેન્યુઅલની જોગવાઇ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઇ તેમજ ઉપરોકત જણાવ્યા મુજબની વ્યવસ્થા તાત્કાલીક કરવા પરેશભાઇ ધાનાણીએ માંગ કરી છે.

(3:58 pm IST)