Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ધો. 9ના વર્ગોમાં પુરતી સંખ્યા અપૂરતી : 100 જેટલા વર્ગો બંધ કરવા પડશે : 150થી 200 જેટલા શિક્ષકોને છુટા કરવા પડશે

ગતવર્ષના પરિપત્રનો અમલ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ

ગાંધીનગર: હજુ ઘણા વિદ્યાર્થીઓ વતનમાંથી પરત ફર્યા ન હોવાથી ધો. 9ના વર્ગોમાં પુરતી સંખ્યા થતી ન હોવાથી ગતવર્ષના પરિપત્રનો અમલ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો, એમ નહીં થાય તો રાજ્યના 100 જેટલા વર્ગો બંધ કરવાની ફરજ પડશે અને 150થી 200 જેટલા શિક્ષકોને છુટા કરવા પડશે.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યમાં ઉનાળુ વેકેશન પુર્ણ થયા બાદ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ હાજર થયો અને ત્યારબાદ તબક્કાવાર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. રાજ્યમાં કોવિડ ગાઈડલાઈન અનુસાર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવે છે. કોવિડ-19 અને લોકડાઉન તથા સામુહિક સ્થળાંતરની મોટી અસર નોકરી અને ધંધા પર સામાજિક તથા આર્થિક રીતે વધુ પડી હોય તેમ શાળા સંચાલકો અનુભવી રહ્યા છે.

રાજ્ય બહારથી ગુજરાતમાં આવીને મંજુરી માટે સ્થાયી થયેલા લોકોનો મોટો સમુહ ખુબ જ તકલીફ વેઠીને પોતાના સંતાનો સાથે પોતાના રાજ્યમાં પરત ગયા હતા. આવા લોકો પોતાના સંતાનોને હજુ વતનમાં રાખીને મજુરી અર્થે ગુજરાતમાં આવ્યા છે, પરંતુ બાળકોને સાથે લાવ્યા નથી. જેની પાછળનું મુખ્ય કારણ કોરોનાની ત્રીજી લહેર કે જે બાળકોને અસર કરનાર છે તે છે.

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ધોરણ-9માં મોકલવામાં આવ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓ પૈકી 30થી 40 ટકા વાલીઓએ હજુ પોતાના બાળકોના લિવિંગ સર્ટિફીકેટ કઢાવ્યા નથી. ફી ભરવા માટે નાણાકીય વ્યવસ્થા ન થઈ શકવાથી તથા કોરોનાના ડરથી હજી પણ વાલીઓએ ધોરણ-9માં પોતાના બાળકોનો પ્રવેશ લીધો નથી. ધોરણ-9માં એક વર્ગવાળી શાળામાં હજુ જરૂરી રજિસ્ટર્ડ સંખ્યા પણ નોંધાયેલી નથી અને જ્યાં બે કે વધુ ધોરણ-9ના વર્ગો છે ત્યાં પણ પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક હોવાનું સંચાલક મંડળે જણાવ્યું હતું.

નિયામકની કચેરીની સુચના અનુસાર, 31 ઓગસ્ટ, 2021 પહેલા માન્ય વર્ગોમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થી સંખ્યા ન હોય તો તેવા વર્ગો બંધ કરવાની લેખિત દરખાસ્ત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. 2020-21ના વર્ષમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર મુજબ ધોરણ-9નો એક વર્ગ હોય તો ગ્રામ્ય વિસ્તારમાં 18 વિદ્યાર્થી અને શહેરી વિસ્તાર હોય તો 23 વિદ્યાર્થીની જોગવાઈ તથા બે વર્ગ હોય ત્યાં 45+18 વિદ્યાર્થી ગ્રામ્ય માટે અને 45 +23 શહેરી વિસ્તાર માટે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે કરવી ખુબ જ આવશ્યક જણાય છે.

(9:07 am IST)