Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

છત્રાલ ગામમાં તલવારના ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા કરાઈ

મૃતકના પરિવારજનોનો પોલીસ સમક્ષ હોબાળોઃ આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ લઇ જવાનો ઇન્કાર પોલીસની ભારે હૈયાધારણ બાદ સમગ્ર મામલો થાળે પડયો

અમદાવાદ, તા.૨૫: કલોલ પાસે આવેલા છત્રાલ ગામમાં ગઇ મોડી રાત્રે એક પટેલ યુવાનની તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા આ ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી હતી. ઘટનાના પગલે કોમી તંગદિલી ઊભી થતા ગઇ મોડીરાતથી જ છત્રાલ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી દેવાયો હતો. બીજીબાજુ, મૃતક યુવાનના પરિવારજનોએ જયાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી લાશ ઉઠાવવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, પોલીસ દ્વારા ભારે સમજાવટ અને પ્રયાસો  બાદ પરિવારજનોને મનાવાયા હતા અને આ કેસમાં હત્યારાઓને તાકીદે પકડી સખત નશ્યત કરવાની હૈયાધારણ અપાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સરગાસણ ગામના રહીશ અને હાલ છત્રાલ ગામમાં રહેતો અને એરફિલ્ટરના કવરની ક્લીપ બનાવવાનો વ્યવસાય કરતો અશોકભાઇ પટેલ નામનો યુવાન ગઇ રાત્રે ગામમાંથી પસાર થતો હતો ત્યારે એક મુસ્લિમ યુવાન તેના પર તલવાર સાથે તૂટી પડ્યો હતો અને તલવારના ઘા ઝીંકી તેને હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. પટેલ યુવાનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઠેર ઠેર લોકોનાં ટોળાં ભેગા થયા હતા અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. સાથે સાથે હિંદુ સમાજના લોકોએ કલોલ અને છત્રાલ સ્વયંભૂ બંધ રાખી હત્યારાને તાત્કાલીક પકડી પાડી કડક સજા કરવા માગણી કરી હતી. હત્યાના બનાવની જાણ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ છત્રાલ પહોંચી ગયા હતા અને છત્રાલ ગામ અને કલોલમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું. જો કે, અફવાઓનું બજાર ગરમ રહ્યું હોવાથી રાત્રી ભર કોમી તંગદિલી છવાયેલી રહી હતી. દરમ્યાન મૃતક યુવકના પરિવારજનોએ આ કેસમાં તાત્કાલિક હત્યારાઓને પકડી સખત નશ્યત કરવાની માંગણી સાથે પોલીસ સમક્ષ હોબાળો મચાવ્યો હતો અને મૃતકની લાશ લઇ જવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલામાંદરમ્યાનગીરી કરી પરિવારજનોને ભારે સમજાવટ અને આરોપીઓને પકડી તેમને સખત નશ્યત કરવાની હૈયાધારણ આપતાં આખરે સમગ્ર મામલો થાળે પડયો હતો.

(9:39 pm IST)