Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અંદાજે ૧૪ કિ.મી.ની ઘેરાવવાળુ તીડનું ટોળુ બનાસકાંઠાના માથા ઉપર મંડરાઇ રહ્યું છેઃ દિવસે ઉડે છે અને રાત્રીના વનસ્‍પતિ ઉપર બેસીને પાકનો નાશ કરે છે

અમદાવાદ :ગુજરાતના ઉત્તર ભાગમાં તીડનો આતંક યથાવત છે. અંદાજે 14 કિલોમીટરના ધેરાવવાળુ તીડનું ટોળું બનાસકાંઠાના માથા પર મંડરાઈ રહ્યું છે. આ તીડ ખેડુતોના ઉભા પાકને પારાવાર નુકસાન કરી ચૂક્યા છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં તીડનો આતંક વધ્યો છે. તીડને ભગાડવા ખેડૂતો અવનવા પ્રયાસો કરી રહ્યાં છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન વેઠી રહ્યાં છે, ત્યારે તીડને અટકાવવા સરકારની ટીમ કામે લાગી છે. વર્ષો બાદ આ વર્ષે ગુજરાતમાં તીડ આવ્યા પાછળનું એક ચોક્કસ કારણ છે. ત્યારે આ કારણ એક્સપર્ટસની નજરે જાણીએ...

કઇ રીતે તીડ ઉત્ત્પન થાય છે

રાજસ્થાન કચ્છ અને પાકિસ્તાના સરહદી રણ પ્રદેશ વિસ્તારમાં તીડ જોવા મળે છે. ચોમાસા દરમિયાન તીડ ઉત્પન્ન થાય છે. એક માદાના શરીર પર ૮ થી ૧૦ કોથળીઓ હોય છે, જેમાં તે સરેરાશ ૧૦૦થી ૧૨૫ ઈંડા આપે છે. એક માદા એક વારમાં ૧૧૦૦ થી ૧૨૦૦ ઈંડા આપે છે. આ ઈંડા એક વર્ષ કે તેના કરતાં પણ વધારે સમય સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં ઈંડા ફલિત થઈ તેમાંથી બચ્ચાનો જન્મ થાય છે. એક બચ્ચું ૧૬ દિવસમાં ઉડાવાની ક્ષમતા મેળવી લે છે. સવારે ૯ થી ૧૦ વાગ્યા બાદ દિવસ દરમિયાન તીડ સતત આકાશમાં ઉડ્યા કરે છે. જ્યાં રાત્રિ થાય ત્યાં તીડ કોઇ પણ વનસ્પતિ પર આશરો લે છે અને માત્ર પેટ ભરવાનું કામ કરે છે. ફરી દિવસ ઉગતા જ તે ઉડવાવું શરૂ કરે છે.

શા માટે ગુજરાતમાં તીડનું તાંડવ જોવા મળ્યું

ગુજરાતમાં તીડના તાંડવ માટે મહા વાવાઝોડું અને સતત વરસી રહેવા કમોસમી વરસાદ હોવાનું એક્સપર્ટસ માની રહ્યાં છે. મહા વાવાઝોડાના કારણે રણ વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદથી રણમાં રહેલા ઈંડા ફલિત થતાં તીડ ઉત્પન્ન થયા. સામાન્ય રીતે પાકિસ્તાનના રણના તીડ ઇરાન તરફ પ્રયાણ કરે છે. પણ ચાલુ વર્ષે દિશાભ્રમ થતાં ગુજરાત અને રાજસ્થાન તરફ ફંટાયા હોવાનું ખેતીવાડી અધિકારીઓનું અનુમાન છે.

હજુ કેટલું સંકટ યથાવત

ગુજરાતમાં હજુ તીડનું આક્રમણ ઓછું થયું નથી અને આવતા વર્ષે પણ તીડનો તાડંવ થવાની શક્યતા એક્સપર્ટસ કહી ચૂક્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી તીડના બનાસકાઠા અને સરહદી વિસ્તારમાં ધામા છે. જો આ સમયગાળા દરમિયાન તીડનું બ્રીડીંગ થયું હશે અને માદા તીડે ઇંડા મુક્યા હશે તો આવતા વર્ષે પણ તીડનું તાંડવ થશે. અ અટકાવવા માટે સરકારે તીડના ઝુંડ જ્યાથી પસાર થયા હોય ત્યાં દવા છંટકાવ કરી તીડના ઈંડાનો નાશ કરવો પડશે.

(5:07 pm IST)