News of Tuesday, 24th September 2019
અમદાવાદ, તા.૨૪ : ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.(ખેતી બેંક)ના કર્મચારીઓની વિવિધલક્ષી સહકારી મંડળી લી.ની અગત્યની વાર્ષિક સાધારણ સભા નીલકંઠ ધામ, પોઈચા મુકામે યોજાઇ હતી, જેમાં મંડળીના ચેરમેન વી.એમ.ચૌધરી, બેંકના કસ્ટોડીયન પી.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મંડળીના સભાસદો બેંકના કર્મચારીઓ જ છે જેથી તેઓએ બેંકની પ્રગતિ માટે બેંકની મુખ્ય કામગીરી ધિરાણ, વસુલાત અને ફીકસ ડીપોઝીટ વધારવામાં હજી વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને ખૂબ મહેનત કરવાની જરૂર છે. બેંકની ધિરાણ- વસુલાતની કામગીરી વધશે તેમાં અંતે તો કર્મચારીઓને જ ફાયદો થવાનો છે. બેંકના પૂર્વ ચેરમેન કનુભાઈ એમ.પટેલે જણાવ્યુ હતું કે, બેંકમાં જયારે ધિરાણ ખૂબ ઓછું થઈ રહયું હતું ત્યારે બેંક દ્વારા કિશાન ક્રેડીટ કાર્ડના હેતુમાં મધ્યમ મુદતનું ધિરાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ હેતુના ધિરાણ થકી આજે બેંકમાં ધિરાણનુ માળખું ખૂબ જ સુદ્રઢ બન્યું છે. બેંકના પૂર્વ મેનેજીંગ ડીરેકટર એચ.પી.ગણાત્રાએ તેઓના વકતવ્યમાં તેઓના કાર્યકાળ દરમ્યાનના અનુભવો વર્ણવેલ અને બેંકના કર્મચારીઓને તેઓને ફરજ ખૂબ જ ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાથી બજાવવા સોનેરી સલાહ આપી હતી. મંડળીના ચેરમેન વી.એમ.ચૌધરી, બેંકના કસ્ટોડીયન પી.એસ.ઉપાધ્યાય, બેંકના પૂર્વ ચેરમેનશ્રી કનુભાઈ એમ.પટેલ અને પૂર્વ મેનેજીંગ ડીરેકટર એચ.પી.ગણાત્રાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ખેતી બેંકની સ્થાપના સને ૧૯પ૧માં પોરબંદરના યુવરાજ અને પદ્મશ્રી સ્વ. ઉદયભાણસિંહજી જેઠવાએ કરી હતી અને તે બાદ બેંકના કર્મચારીઓની મંડળીની સ્થાપના પણ તેઓશ્રીએ ખેતી બેંકની એક પેટા સંસ્થા તરીકે સને ૧૯પ૬ માં રાજકોટ ખાતે કરી હતી. મંડળીનો મુખ્ય ઉદૃેશ સભાસદોમાં કરકસર અને પરસ્પર સહાયની ભાવનાને ઉત્તેજન આપવાનો, સભાસદોને વ્યાજબી દરે ધિરાણ અને તેની વસુલાત કરવાનો અને ગ્રાહક પ્રવૃત્તિ હાથ ધરવાનો છે. મંડળીના ચેરમેને વર્ષ ર૦૧૮-૧૯ ના નાણાંકીય વર્ષનો ૬૩મો વાર્ષિક અહેવાલ તથા સ્મરણ ગ્રંથ સ્વ.શ્રી ઉદયભાણસિંહજી જેઠવાના સ્મરણાર્થે તેઓને સમર્પિત કરેલ અને મંડળીના વાર્ષિક હિસાબ સભા સમક્ષ રજૂ કર્યા હતા. તા.૩૧-૩-ર૦૧૯ ની આખરે મંડળી પાસે કુલ શેરભંડોળ રૂા.૬ર,૩૧,પ૦૦ છે. મંડળી દ્વારા ખર્ચ માટે, દેવું ચુકવવા, મકાન માટે, લગ્નપ્રસંગ માટે, અભ્યાસ માટે, જમીન ખરીદી માટે, વ્યવહારીક ખર્ચ માટે, મકાન રીપેરીંગ માટે, જીવન વીમાનું પ્રીમીયમ ભરવા, ધાર્મિક કાર્યો માટે ખર્ચ કરવા, માંદગી માટે સભાસદોને ધિરાણ કરવામાં આવે છે. મંડળી દ્વારા સભાસદોને સિઝનલ લોન તથા કન્ઝયુમર્સ લોન પણ આપવામાં આવેલ છે. મંડળીએ ચાલુ વર્ષ : ર૦૧૮-૧૯માં રૂા.૯.૭ર લાખ નફો કર્યો છે. મંડળીની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, આર્થિક સ્થિતિ, અગાઉના વર્ષના અહેવાલની દુરસ્તી, મંડળીની કામગીરી, ધિરાણ બાકીના પ્રમાણમાં મુદતવીતી બાકીનું ઓછું પ્રમાણ વિગેરે બાબતોને ધ્યાને લઈ મંડળીને ઓડીટ વર્ગ અ પ્રાપ્ત થયેલ છે અને સભાસદોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ૯.પ૦ ટકા ડીવીડન્ડ તથા તેઓની બચતની રકમ ઉપર ૮.૬પ ટકા વ્યાજ આપવાનું જાહેર કર્યુ છે. મંડળીની સાધારણ સભાને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજયના રજીસ્ટ્રારશ્રી બીજલભાઈ શાહ તથા એન.આઈ.સી.એમ.ના પ્રીન્સીપાલ ડો.લીપ્સાબેન રાવલએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.