Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પાંચ નદીમાં વાજપેયીની અસ્થિઓનું વિસર્જન થશે

આજે તાપી, સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન : અસ્થિકુંભની યાત્રા સુરતમાં આજે બપોરે ૧૨ વાગે શરૂ થશે તેમજ ચાર વાગે તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરાશે

અમદાવાદ,તા.૨૪ : ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઇજીનું તારીખ ૧૬ ઓગષ્ટના રોજ દુઃખદ્ અવસાન થયું હતુ. વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવનાર સ્વર્ગસ્થ અટલજી મહાન વક્તા, વિદ્વાન રાજનેતા, કવિહદયી તથા પ્રખર દેશપ્રેમી હતા. તેઓ કરોડો દેશવાસીઓના પ્રિય નેતા હતા. તેમના અવસાનથી દેશને પૂરી ના કરી શકાય તેવી ખોટ પડી છે.  બાજપાઇજીના અસ્થિનું વિસર્જન દેશના જુદા જુદા રાજ્યોની પવિત્ર નદીઓમાં કરવામાં આવી રહ્યુ છે. ગત તારીખ ૨૨ ઓગષ્ટના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત હજારો કાર્યકરો અને નગરજનોની ઉપસ્થિતિમાં પવિત્ર સાબરમતી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે ૨૫ ઓગષ્ટના રોજ સુરતની તાપી નદી, સિધ્ધપુરમાં સરસ્વતી નદી તથા સોમનાથ ત્રિવેણી સંગમમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવશે. ૨૫મીએ સુરત ખાતે બપોરે ૧૨.૦૦ વાગે કામરેજ થી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ ૪.૦૦ વાગે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પાસે તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તથા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. જ્યારે  ૨૫ ઓગષ્ટના દિવસે જ સિધ્ધપુર ખાતે બપોરે ૩.૦૦ કલાકે આંબેડકર ચોકથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ બીંદુ સરોવર, સરસ્વતી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી તથા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહેશે.

આવી જ રીતે આવતીકાલે વેરાવળ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે સોમનાથ યુનિવર્સીટી, સંજયનગર પાસેથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે અને ૧૨.૩૦ કલાકે સોમનાથ-ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, કેબીનેટ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા આરસી ફળદુ ઉપસ્થિત રહેશે. ૨૭ ઓગષ્ટના રોજ વડોદરાની મહિસાગર નદી તથા ભરૂચની નર્મદા નદીમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે જ્યારે ૨૭મીએ જ વડોદરા ખાતે સવારે ૧૦.૦૦ કલાકે પંડિત દીનદયાળ ભવન, સયાજીગંજથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે અને ૧૨.૩૦ કલાકે ફાજલપુર પાસે મહિસાગર નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. ભાજપે કહ્યું છે કે, ૨૭મીએ ભરૂચ ખાતે બપોરે ૨.૩૦ કલાકે શ્રવણ ચોકડીથી અસ્થિકૂંભ યાત્રા શરૂ થશે. ત્યારબાદ ઝાડેશ્વર,બીએપીએસ મંદિરના હોલમાં ૫.૦૦ થી ૬.૦૦ સર્વદલીય પ્રાર્થનાસભા અને સાંજે ૬.૩૦ કલાકે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના મંત્રીઓ ગણપત વસાવા અને પ્રદિપસિંહ જાડેજા તથા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત દરેક સ્થાનો પર પ્રદેશ અગ્રણીઓ, શહેર-જીલ્લાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ, કાર્યકરો અને અટલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

(8:29 pm IST)