Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમદાવાદના ૧૦ ડૉક્ટરો હવે સુરતમાં સારવાર આપી રહ્યા છે

માર્ચથી સતત કોવિડ ડ્યૂટી કરી કરી રહ્યા છે : સુરતમાં કોરોના વકર્યો ત્યારે આ ડૉક્ટરોએ પોતાનું યુદ્ધ મેદાન બદલ્યું અને ત્યાં જઈને સેવા આપવા નિર્ણય કર્યો

સુરત, તા. ૨૪શહેરના ૧૦ ડૉક્ટરો ૧૫ માર્ચથી કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી સતત તબીબો સેવા પૂરી પાડી રહ્યા છે. જ્યારે સુરતમાં કોરોના વકર્યો ત્યારે ડૉક્ટરોએ પોતાનું યુદ્ધ મેદાન બદલ્યું અને ત્યાં જઈને સેવા આપવાનો નિર્ણય કર્યો. બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત કેન્સર સોસાયટી (GCS) મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મંજીત નાયકે કહ્યું, 'કોરોના વાયરસ મહામારી સુરતમાં ગંભીર બની ત્યારે ત્યાં રહેલા અમારા સાથીમિત્રો ઓનલાઈન અમારા સલાહ-સૂચન મેળવવા લાગ્યા. જેથી ગંભીર દર્દીઓની સારવાર કરી શકાય. રણનીતિ બનાવવામાં અને અમલ કરાવવામાં અમે પ્રથમ હરોળમાં હતા જેથી અમે મદદ કરવાનો નિર્ણય કર્યો.' અમદાવાદની સિવિલ હોસ્પિટલ, GCS અને SMS હોસ્પિટલના ૧૦ ડૉક્ટરોનું ગ્રુપ મિશન સુરત માટે ગયા અઠવાડિયે નીકળી ગયું હતું.

         તેમણે સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ ફેસિલિટીમાં પોતાની સેવાઓ આપવાની શરૂ કરી દીધી. સાથે અન્ય ડૉક્ટરોને તાલીમ આપવાની પણ શરૂઆત કરી. ડૉ. નાયક ઉપરાંત ટીમમાં સિવિલ હોસ્પિટલના જૂનિયર ડૉક્ટર્સ અસોસિએશનના ડૉ. પિંકેશ રાઠવા, ડૉ. હિરેન પટેલિયા, ડૉ. માનસંગ ડોડિયા, ડૉ. પંકજ નાડોદા, ડૉ. રાહુલ ગામેતી, ડૉ. યોગેશ મોરી, ડૉ. ઓમાન પ્રજાપતિ, ડૉ. દિવાકર શર્મા અને ડૉ. વિરાજ મોદીનો સમાવેશ થાય છે. જ્યારે ડૉ. નિરંજન અજુવાડિયા ટીમના એકમાત્ર મહિલા તબીબ છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, ૧૩-૨૬ જુલાઈ સુધીના સુરતના ફરજના દિવસો ગણીને તેઓ કુલ ૧૪૧ દિવસની નોન-સ્ટોપ કોવિડ ડ્યૂટી પૂરી કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરીથી ફરજ બજાવશે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડૉ. વિરાજ મોદી અમદાવાદમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી વખતે કોરોના પોઝિટિવ આવ્યા હતા.

             ડૉ. મોદીએ કહ્યું, મહામારી દરમિયાન સેવા કરવી અને ઐતિહાસિક બાબતો શીખવી તે જીવનમાં એકવાર મળતો અનુભવ છે. ડૉ. પિંકેશ રાઠવાએ કહ્યું કે, અમારી ટીમ સારવાર માટેના પ્રોટોકોલ તૈયાર કરવામાં અને તેનું પાલન કરવામાં સંકળાયેલી હતી. અમદાવાદમાં જે પદ્ધતિથી સારવાર આપી તે સુરતમાં પણ અમલમાં મૂકી છે. ડૉક્ટરોએ કહ્યું કે, તેમણે પાયાની બાબતો જેવી કે તમામ મેડિકલ સ્ટાફ અને તબીબો અંગત સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે તેનાથી શરૂઆત કરી. ડૉ. નાયકે કહ્યું, 'PPE કિટ પહેરીને કામ કરવું થકવી નાખનારું હોય છે. અમે રેસિડેન્ટ તબીબોને એવી PPE કિટ પસંદ કરવામાં મદદ કરી જેથી તેઓ સરળતાથી કામ કરી શકે.'

(10:35 pm IST)