News of Friday, 24th July 2020
ગાંધીનગર,તા.૨૪ : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આજરોજ ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના મુખ્ય ચુંટણી કમિશ્નરને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવા માંગણી કરી હતી. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીઓ યોજાવાની છે. એકબીજા વ્યક્તિઓના સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે એટલે સંક્રમણ અટકાવવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન પણ લાંબા સમય માટે કરવામાં આવેલ.
ત્યારબાદ નાગરિકો એકબીજાના વધુ સંપર્કમાં ન આવે અને કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચોક્કસ અંતર જાળવવા, માસ્ક પહેરવા વગેરે બાબતો અંગે સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આવી માર્ગદર્શિકાઓનો ભંગ કરનાર સામે કાનુની પગલાંઓ પણ ભરવામાં આવે છે. પરમારે જણાવ્યું હતું કે, દરેક બેઠકદીઠ આશરે બે લાખ જેટલા મતદારો હોય છે અને બુથમાં આશરે ૧,૦૦૦ જેટલા મતદારો હોય છે એટલે એક ઈફસ્ મશીનમાં આશરે ૧,૦૦૦ વ્યક્તિઓ હાથથી ટચ કરે. કોરોના મહામારીના સમયમાં વિધાનસભાની પેટા ચુંટણીઓ ઈવીએમથી યોજવામાં આવે તો ઉમેદવારને મત આપવા માટે ઈફસ્માં એક જ બટન ઉપર હજારો વ્યક્તિઓના હાથ-ફીંગર ટચ થાય છે.
તેમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ વોટ કરીને જાય ત્યારબાદ તે બટનને ટચ કરનાર તમામ વ્યક્તિઓને કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહે છે. આવા પોઝીટીવ વ્યક્તિઓને કોરોનાના સીધા કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી સીધી રીતે ખબર ન પડે કે તે વ્યક્તિને કોરોના છે કે કેમ ? પરંતુ તેના સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓ કોરોનાની ચોક્કસ સંક્રમિત થઈ શકે અને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મતદાન કરવાથી કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આજરોજ માંગણી કરી હતી.